જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન
એક સુરીલા યુગનો અંત, મોગલ આશ્રમમાં ગમગીન માહોલ: કચ્છનાં આશ્રમમાં થશે અંતિમવિધિ
જાણીતા ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન થયું છે. આજે વહેલી સવારે ભજનીક અને લોકગાયક લક્ષ્મણ બારોટનું 80 વર્ષની વયે જામનગરમાં અવસાન થતાં ધર્મ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ભજનોની દુનિયામાં લક્ષ્મણ બારોટ નામ બહુ પ્રસિદ્ધ હતું.ભજનીક લક્ષ્મણ બારોટ માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પોતાના ભજનો માટે જાણીતા હતા. તેમની કચ્છ આશ્રમમાં અંતિમવિધી કરવામાં આવશે. પ્રખ્યાત ભજન સમ્રાટ લક્ષ્મણ બારોટે વર્ષો સુધી સંતવાણીની દુનિયામાં રાજ કર્યું હતુ.
સંતવાણી આરાધકો અને વિશાળ ચાહક વર્તુળમાં શોક ફેલાયો છે. નારાયણ સ્વામીથી માંડી નવી પેઢીના કલાકારો સાથે સ્વ. લક્ષ્મણ બારોટની જુગલબંધી હતી. ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટે આજે સવારે 5 વાગ્યે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમનું નિધન આજે સવારે જામનગર ખાતે થયું હતું. લોકગાયક અને ભજનીક લક્ષ્મણ બારોટ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ ભારત સહિત વિદેશોમાં પોતાના ભજનો માટે જાણીતા હતા. તેમનાં ગુરુ ભજનીક નારાયણ સ્વામી હતા.
કૃષ્ણપુરી ગામે આવેલો છે આશ્રમ
ભજનીક લક્ષ્મણ બારોટના નિધનથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમનાં આશ્રમમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે લક્ષ્મણ બાપુનો આશ્રમ આવેલો છે. તેઓએ ‘મોગલધામ’ શ્રી શક્તિ ભજન પીઠાશ્રમના નામથી આદિવાસી વિસ્તારમાં આશ્રમ બનાવ્યો હતો. તેઓ અવારનવાર આ આશ્રમની મુલાકાત લેતા હતા. કૃષ્ણપુરી ગામમાં તેમના દ્વારા ડાયરા અને ભજનના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા.
સૂરીલા અવાજથી દેશભરમાં બન્યા હતા લોકપ્રિય
મૂળ જામનગરના લક્ષ્મણ બારોટ જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા. તેઓ પોતાના સૂરીલા અવાજથી દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા. ભજનીક લક્ષ્મણ બારોટ અને તેમના પત્નીએ ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી. ભજનીક લક્ષ્મણ બારોટે અહી આશ્રમ બનાવ્યો હતો.