અગ્નિશામક સાધનો પુરતા છે, ટીઆરપી કાંડ પછી ફાયર NOC માટે જવાબ ન મળ્યાઃ ડો.કામાણી
૧૫૦ રિંગરોડ પર બિગબજાર પાસે આવેલા ધનાઢ્યોના રહેણાંક એવા એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં ગત સપ્તાહે ધૂળેટીના દિવસે લાગેલી આગ અને ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યાની દૂર્ઘટનામાં પોલીસને હજુ સુધી મહાપાલિકામાંથી વિગતો સાંપડી નથી પરંતુ પોલીસ તેની દિશામાં તપાસ આગળ ધપાવીને બિલ્ડર પ્રમુખ તેમજ બે ફ્લેટ હોલ્ડરના નિવેદન લઈ આગળની કાર્યવાહી માટે મહાપાલિકાના જવાબની રાહમાં છે.
ઘટનાના બીજા દિવસેજ માલવિયાનગર પોલીસ દ્વારા બિલ્ડિંગના બાંધકામથી લઈ ફાયર એનઓસી સુધીના જરૂરી તમામ દસ્તાવેજી પુરાવાઓ તપાસ અર્થે મહાપાલિકા પાસે માગ્યા છે. હજુ કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી તે દરમિયાનમાં માલવિયાનગર પોલીસ દ્વારા એપાર્ટમેન્ટ બનાવનાર અને ત્યાં જ રહેતા બિલ્ડર જીતુભાઈ બેનાણીની પૂછતાછ કરાઈ હતી અને નિવેદન લેવાયું છે. આ ઉપરાંત બે ડીલવરીમેન આગમાં ભડથું થયા અને બે ફ્લેટમાં ડીલીવરી કરવા ગયા હતા ત્યાં ૧૦મા માળે રહેતા ધવલભાઈ અને ૮મા મજલે રહેતા ભાસ્કરભાઈ નામના ફ્લેટ હોલ્ડરોના પણ નિવેદન નોંધ્યા છે.
બિલ્ડિંગના પ્રમુખ ડો. પ્રફુલ્લ કામાણીની પૂછતાછ કરીને નિવેદન લેવાયું છે. જાણવા મળ્યા મુજબ આગની ઘટના બની ત્યારે ડો. કામાણી પોતાના ફ્લેટ પર જ હતા અને જાણ થતાં તેઓ તુરંત જ છઠ્ઠા માળે પહોંચ્યા હતા અને તે પણ હાથના આંગળાના ભાગે અને કાન પર દાઝી ગયા હતા. ડો.કામાણીનું પણ પોલીસ દ્વારા પણ સ્ટેટમેન્ટ લેવાયું છે. બન્ને ડીલીવરીમેન જ્યારે ડીલીવરી માટે ગયા ત્યારે બન્નેની સાથે સ્ક્યુિરિટીનો સ્ટાફ ગયો હતો અને ફ્લેટના દરવાજે છોડીને નીચે આવી ગયો હતો.
ફાયર એનઓસી બાબતે ડો.કામાણીના કહેવા મુજબ ગત વર્ષે જ સવા પાંચ લાખથી વધુના સાધનો વસાવ્યા છે અને દર વર્ષે આ સાધનોની ઉપયોગીતા ચેક કરતી રહી છે. ફાયર એનઓસી રિન્યુ કરાવવા માટે પ્રયાસો કરાયા હતા પરંતુ પોર્ટલ ન ખુલે, ડાઉનલોડ ન થાય આવી ને આવી કોઈ સમસ્યા ઉદ્ભવતી હતી અને ટીઆરપીકાંડ થયા બાદ એનઓસી માટે પ્રોપર જવાબો મળતા ન હતા.