રાજકોટ : માધાપરમાં કરોડોની સરકારી જમીન તલાટીએ ખાનગી ઠેરવી દીધી, કરોડોની કિંમતી જમીન કૌભાંડમાં ભાંડો ફૂટ્યો
રાજકોટમાં નકલી લેખ, બોગસ દસ્તાવેજ, નકલી યુએલસીના હુકમ, નકલી બિનખેતીના હુકમ, નકલી હક્કપત્રકે નોંધના અનેક કિસ્સાઓ વચ્ચે રાજકોટના રિંગરોડ નજીક આવેલ માધાપર સર્વે નંબર 111ની કરોડો રૂપિયાની કિંમતી જમીન માધાપરના તલાટીએ દલાલો પાસેથી કરોડોનો વહીવટ મેળવી રાવળા હક્કના નકલી હુકમને આધારે ગામ નમૂના નંબર-2માં એક બે નહીં પણ દસ જેટલી નોંધ પાડી દઈ એક એકર જેટલી જમીન હડપ કરી લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે, સમગ્ર મામલો જિલ્લા કલેકટર સુધી પહોંચ્યો હોવાનું અને હાલમાં મામલતદાર દ્વારા તપાસ શરૂ કરી આ કૌભાંડી તલાટીને માધાપર ખાતેથી કુવાડવા ખાતે બદલી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
રાજકોટ -જામનગર રોડ ઉપર હાલમાં જમીનના ભાવ આસામને છે અને શહેરમાં સૌથી વધુ સોદાઓ આ રોડ ઉપર પડી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં સમાવિષ્ઠ માધાપર રેવન્યુ સર્વે નંબર 111ની સરકારી ખરાબાની કિંમતી જમીન હડપ કરવા માટે જમીન કૌભાંડિયા તત્વો ડોળો નાખીને બેઠા છે તેવા સમયે જ રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના તલાટીએ દલાલો સાથે સાંઠગાંઠ રચી માધાપર સર્વે નંબર 111ની જમીન પૈકી 10 જેટલી જમીન ખાનગી નામે ચડાવી દેવા નકલી રાવળા હક્કના હુકમોને આધારે ગામ નમૂના નંબર-2માં નોંધ પાડી દીધી હોવાનું સામે આવ્યું છે.આ નોંધના ફળસ્વરુપ જમીન કૌભાંડિયા તત્વો મોકાની લગડી જેવી જમીન ઉપર દબાણ કરી લીધા છે.
જો કે,પાપ છાપરે ચડીને પોકારે તે ઉક્તિ મુજબ માધાપર સર્વે નંબર 111ની કરોડોની કિંમતી સરકારી જમીન નકલી-બોગસ રાવળા હક્કના નામે ખાનગી નામે ચડાવી દેવાના કિસ્સાની ફરિયાદ જિલ્લા કલેકટર સુધી પહોંચતા માધાપરના તલાટીની કુવાડવા ખાતે બદલી પણ કરી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જો કે, આશ્ચર્ય તો એ વાતની છે કે, તલાટી મંત્રીએ એક, બે નહીં પણ દસ જેટલી જમીન રાવળા હક્કના નામે ગામ નમૂના નંબર બેમાં ચડાવી દીધી હોવાનું સામે આવ્યું છે. જો કે, હાલમાં તાલુકા મામલતદાર કચેરીના તલાટીના આ કૌભાંડ અંગે તરેહ-તરેહની ચર્ચા ઉઠી છે.
રાવળા હક્કની જમીનની નોંધમાં તપાસ ચાલુ : મામલતદાર
રાજકોટ તાલુકા મામલતદાર કાર્તિક મકવાણાએ જણાવ્યું હતું કે, માધાપર ગામના તલાટી દ્વારા રાવળા હક્કની જમીન ગામ નમૂના નંબર 2માં નોંધ કરવા પ્રકરણમાં ફરિયાદ મળ્યા બાદ તપાસ ચાલુ છે અને પ્રાથમિક તપાસમાં આવી દસ જેટલી નોંધ પાડી હોવાનું સામે આવ્યું છે. જો કે, તલાટી મંત્રીના આ કૌભાંડમાં તાલુકા મામલતદાર કચેરીમાં જ પડયા પાથર્યા રહેતા દલાલોની ભૂંડી ભૂમિકા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે ત્યારે આ કૌભાંડમાં ઊંડાણપૂર્વકની તપાસ કરી ફોજદારી ફરિયાદ કરવામાં આવે તો અનેક કૌભાંડ ખુલે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.
કચેરીના સૂત્રો કહે છે તલાટીએ 30 લાખમાં નોંધ પાડી
રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના માધાપરના તલાટીએ સરકારી જમીન ખાનગી નામે ચડાવી દેવા રાવળા હક્કના નકલી કાગળોનો સહારો લીધો હોવાનું અને આ નોંધ પાડી દેવા બદલ એક કરોડનો વહીવટ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના સૂત્રોએ પણ તલાટીએ 30 લાખ લઈ નોંધ પાડી હોવાનું ચર્ચી રહ્યા છે. આ સંજોગોમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો સરકારી જમીન ખાનગી ઠેરવી દેવા પાછળ સંડોવાયેલા અનેકના નામ સામે આવે તેમ હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે.
રાવળા હક્કની જમીન ગામતળમાં જ હોય
નક્કલને અક્કલ ન હોય તેવા કિસ્સામાં માધાપર ગામમાં નકલી રાવળા હક્કના હુકમને આધારે ગામ નમૂના નંબર-2માં નોંધ પાડી દેવામાં આવી છે ત્યારે જમીન કૌભાંડિયાઓ આ નોંધને આધારે રિંગરોડ નજીકની જમીન ઉપર બેસી ગયા છે અને કબ્જા દર્શાવી દીધા છે. જો કે, જમીન કૌભાંડીઓ અને તલાટી ભૂલી ગયા હતા કે, રાવળા હક્કની મોટાભાગની જમીન ગામતળની આજુબાજુમાં જ હોય ન કે ગામની બહાર. આ આ કિસ્સામાં રિંગરોડ નજીકની કિંમતી જમીન હડપ કરી લેવામાં આવતા પાપ છાપરે ચડીને પોકાર્યું છે.