- રાજકોટમાં 39 કિલો ગાંજા સાથે એસઓજીએ ત્રણને દબોચ્યા
- રણુજા મંદિર પાછળ આવેલી સોસાયટીમાં રાજસ્થાની શખ્સ ગાંજાની ડિલેવરી કરવા આવ્યો ને એસઓજી ત્રાટક્યુ : રૂ.4.17 લાખનો મુદામાલ કબજે
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં રણુંજા મંદિરની પાછળ આવેલ જય સોમનાથ સોસાયટીમાં એસોજીની ટીમે દરોડો પાડી ત્રણ શખ્સોને 39.500 કિલો ગાંજાના સાથે દબોચી રૂ.4.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સોમનાથ સોસાયટીમાં રહેતાં શખ્સણે ત્યાં રાજસ્થાની શખ્સ ગાંજો સપ્લાય કરવાં આવ્યો હતો.અને કટિંગ કરી ભાગે તે તે પૂર્વે જ એસઓજી ત્રાટક્યુ હતુ.
વિગત મુજબ, રાજકોટ શહેર એસઓજી પીઆઈ જે.એમ.કૈલાની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા અને વિરદેવસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે રણુંજા મંદિરની પાછળ આવેલ જય સોમનાથ સોસાયટી-1 માં રહેતાં વજેનાથ ગોસ્વામીના મકાનમાં દરોડો પાડ્યો હતો. અને ત્યાં હાજર મકાન માલિક વજેનાથ ગોસ્વામી, રાજસ્થાનના બાબુ બીશ્નોઈ અને રાજકોટના આસુ નામના શખ્સને પકડી પાડયા હતા. અને મકાનમાંથી 39.500 કિલો ગાંજો ભરેલા પાંચ બચકાં મળી કુલ રૂ.4.17 લાખનો મુદામલ જપ્ત કરી આરોપીની પૂછતાછ હાથ ધરી હતી.જેમાં જાણવા મળ્યું હતું કે, વજેનાથ ગોસ્વામીએ રાજસ્થાની બાબુ બીશ્નોઈ પાસે ગાંજો મંગાવતા તે રાજકોટ ગાંજો લઈ રાત્રિના આવ્યો હતો અને વ્હેલી સવારે મકાનમાં ગાંજો વજેનાથને આપ્યો હતો અને તે ગાંજો ત્યાં બાજુમાં જ રહેતો આસુ કુશવાહા લેવા આવ્યો હતો અને તે ગાંજો લઈ શહેરમાં સપ્લાય કરે તે પહેલાં જ એસ.ઓ.જીએ ત્રણેયને દબોચી લીધા છે.
વધુમાં જાણવા મળ્યું હતું કે, વજેનાથ ગોસ્વામી કોઠારીયામાં ભાગીદારમાં મોબાઇલ પાર્ટસ, રિચાર્જની દુકાન ધરાવે છે. તેનો એક ભાઇ માદક પદાર્થના ગુનામાં જેલમાં છે. જ્યારે બાબુલાલ બિશ્નોઇ રાજસ્થાનથી વજેનાથને આ ગાંજો આપવા આવ્યો હતો. ત્રીજો આરોપી આશુ કુશવાહાને એસઓજીએ દોઢ વર્ષ પહેલા માદક પદાર્થ સાથે પકડયો હતો. હાલ રાજસ્થાની શખ્સ બાબુલાલે અગાઉ ગાજાની ખેપ મારી છે કે કેમ તે દિશામાં તેની પૂછતાછ કરવામાં આવી છે.