રાજકોટ ઇન્કમટેક્સ વિભાગને 18%ના વધારા સાથે મળ્યો નવો ટેક્સ ટાર્ગેટ : કરચોરો પર તવાઈ ઉતરશે
રાજકોટ ઇન્કમટેક્સ વિભાગને વર્ષ 2025-26 માટે નવો ટેક્સ ટાર્ગેટ અપાઈ ગયો છે. 18 ટકાના વધારા સાથે નવા વર્ષે રાજકોટ આવકવેરા વિભાગને 4,886 કરોડનો નવો ટાર્ગેટ અપાયો હોય આ વર્ષએ કરચોરો પર તવાઈ ઉતરશે.
વર્ષ 2024-25 માં રાજકોટ આઈટી વિભાગને સીબીડીટી દ્વારા 4196 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જેમાં રિવાઇઝ કરીને 4193 કરોડ કરાયો હતો.સીબીડીટીની અપેક્ષામાં હંમેશા રાજકોટ રિજીયન ખરું ઉતર્યું છે અને 4379 કરોડ નું નેટ કલેકશન થયું હતું.જેમાંથી 2707 કરોડ રિફંડ ચૂકવવામાં આવ્યું છે.
દર વર્ષે રાજકોટ આવકવેરા વિભાગને સીબીડીટી ટેક્સનો ટાર્ગેટ 20 થી 25 ટકા વધુ આપે છે. સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ ગણાય છે અને રાજકોટમાં ઉદ્યોગો વધારે હોવાથી દર વર્ષે કલેક્શન તેના નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચી જાય છે જ્યારે આ વર્ષે ઉદ્યોગોમાં પણ સ્લો ડાઉન હોવાના લીધે કંપનીઓનો કોર્પોરેટ ટેક્સ ધાર્યા મુજબ નથી થયો તેવું આઈટી વિભાગના સૂત્રો કહી રહ્યા છે.
જોકે આ વખતે આવકવેરાની તિજોરી છલકાય છે તેનું મહત્વનું કારણ કરદાતાઓ માટે આવેલી જાગૃતિ ઉપરાંત શેરબજાર અને સોનુ ફળ્યું છે.ટેક્સ પ્રેક્ટિશનરોના મત મુજબ, આ વખતે લોકોએ રીયલ એસ્ટેટમાં રોકાણ કરવાના બદલે સ્ટોક માર્કેટમાં શેરની ખરીદી કરી તેજીમાં વેચ્યા હતા જેનો પ્રોફિટ મળતાં જે ટેક્સ કલેકશનમાં નોંધાયો છે આ ઉપરાંત ગોલ્ડએ વર્ષ દરમિયાન 16 થી 18 ટકા રિટર્ન આપ્યું છે,જેના કારણે નફો વધ્યો છે આથી ટેક્સ પણ વધુ ચૂકવાયો હોવાનું સી.એ.રાજીવ દોશી જણાવી રહ્યા છે.
આ વર્ષે વ્યક્તિગત કરદાતાઓએ વધુ ટેક્સ ચૂકવ્યો
કોર્પોરેટને પાછળ રાખીને આ વર્ષે વ્યક્તિગત કરદાતાઓએ વધારે ટેક્સ ચૂકવ્યો છે. વર્ષ 2024- 25 માં 5082 કરોડનો ગ્રોસ ટેક્સ નોંધાયો હતો.જેમાથી 2274 કરોડનું રિફંડ ચૂકવ્યા બાદ 2808 કરોડનો નેટ ટેક્સ કલેકશન થયો છે.જ્યારે કોર્પોરેટ કંપનીઓએ 2004 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો, જેમાંથી 433 કરોડનું રિફંડ આપ્યા બાદ 1571 કરોડ ટેક્સ ઠલવાયો છે.
દેશમાં 2.4 લાખ કરોડનું કાળુનાણું,નવા વર્ષમાં તવાઈ
નવા નાણાકીય વર્ષમાં કરોડો રૂપિયાની કરચોરી કરનારા પર તવાઈ ઉતરશે. સીબીડીટીએ વર્ષ 2025-26માં દેશભરમાંથી 2.4 લાખ કરોડનું કાળુ નાણું પકડી પાડવાનો ટાર્ગેટ કર્યો છે. સીબીડીટી દ્વારા ઇન્વેસ્ટીગેશન વિંગને સુચના આપવામાં આવી છે કે, ચોક્કસ સમય મર્યાદામાં એક્શન પ્લાન ઘડવામાં આવે અને એડીચોટીનું જોર લગાવી કરચોરી કરનારાઓ પર દરોડા પાડવા નિર્દેશ કર્યો છે.