ગંદકી, ગટર, બાંધકામ મળી ૭૮ ફરિયાદો: અનેક લતાવાસીઓએ કહ્યું, ભાજપને મત આપીને અમને બહુ પસ્તાવો થાય છે !
વોઈસ ઓફ ડે,
રાજકોટ મહાપાલિકા દ્વારા વોર્ડ નં.૧૩માં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધબધબાટી બોલી ગયાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે અહીં રહેવાસીઓ દ્વારા ફરિયાદોનો ઢગલો કરી દેવામાં આવ્યો હતો પરંતુ જવાબ સ્વરૂપે તેમને માત્રને માત્ર
૦’ મતલબ કે સંતોષકારક જવાબ નહીં મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેથી કંટાળેલા લોકોએ કહ્યું હતું કે ભાજપને મત આપીને અમને બહુ જ પસ્તાવો થઈ રહ્યો છે !
વોર્ડ નં.૧૩ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું કે આ લોક દરબાર મેયરના અધ્યક્ષસ્થાને યોજાતો હોય છે પરંતુ તેઓ અહીં ગેરહાજર છે. અહીં લોકોની આટઆટલી ફરિયાદો હોવા છતાં કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવી રહ્યો નથી.
ફરિયાદોની વાત કરવામાં આવે તો અહીં સફાઈ-ગંદકીને લગતી ૧૦, ગટર ઉભરાવી-ચોકઅપ થઈ જવા સહિતની ૧૧, બાંધકામને લગતી ૩૪ મળી કુલ ૭૮ ફરિયાદો આવી હતી. લોકો દ્વારા શેરી-ગલીઓમાં ડીડીટીનો છંટકાવ કરવા, ખુલ્લા પ્લોટની સફાઈ કરાવવા, મવડી પ્લોટમાં મનપાના પ્લોટમાં ફેન્સીંગ કરી સફાઈ કરાવવા, શેરીમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ, વિસ્તારમાં નિયમિત ગાર્બેજ કલેક્શન, ગાર્ડનમાં આવારા તત્ત્વોનો ત્રાસ દૂર કરાવવા, ચંદ્રેશનગર મેઈન રોડ પર રેંકડીઓનું દબાણ દૂર કરાવવા, નવલનગર, શિવનગર, કે.જી.સોસાયટીમાં નિયમિત સફાઈ કરાવવા સહિતની ફરિયાદો કરવામાં આવી હતી.