વડોદરાની માંજલપુર પેટાચૂંટણીમાં મતદાન ટાણે જ રાજકારણ ગરમાયું: બંને પક્ષો ફરિયાદની તૈયારીમાં
લોકશાહીના મહાપર્વ ગણાતા મતદાનના દિવસે જ્યારે ઉમેદવારો અને પક્ષોના ભવિષ્ય EVM માં સીલ થઈ રહ્યા હોય, ત્યારે રાજકીય અખાડામાં તણાવ ચરમસીમાએ પહોંચી જાય છે. વડોદરાની મહત્વપૂર્ણ ૧૪૫-માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવાને બદલે બંને મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના આક્ષેપ-પ્રત્યાક્ષેપો અને આચારસંહિતા ભંગના વિવાદોને કારણે ભારે હલ્લાબોલ અને ઉગ્ર બોલાચાલીનું કેન્દ્ર બની ગઈ હતી.
માંજલપુર બેઠક પર સીધી ટક્કર અને મતદાન
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે, જેમાં ભાજપના ઉમેદવાર સતેન્દ્ર (સતીશ) પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી વચ્ચે સીધો અને રસાકસીભર્યો જંગ જામ્યો છે. જોકે, મતદાન પ્રક્રિયા શરૂ થવાની સાથે જ ક્ષેત્રમાં રાજકીય પારોચરમસીમા પર પહોંચી ગયો હતો જ્યારે બંને પક્ષોએ એકબીજા પર ચૂંટણી આચારસંહિતા ભંગ કરવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.
આ પણ વાંચો: પૂર્વ CM ઓ. પન્નીરસેલ્વમ DMK છોડીને અભિનેતા વિજયની TVK માં જવા તૈયાર!
ભાજપ પર ઢોલ-નગારા સાથે પ્રચારનો આરોપ
મતદાનની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થતા રાજકારણ ગરમાયું હતું. આ વીડિયોમાં ભાજપના કેટલાક કાર્યકરો પક્ષના ચિહ્નવાળા ખેસ પહેરીને તથા ઢોલ-નગારાના તાલે મતદારોને પ્રભાવિત કરતા નજરે પડ્યા હતા.
કોંગ્રેસની પ્રતિક્રિયા: કોંગ્રેસે આક્રમક વલણ અપનાવતા આરોપ લગાવ્યો કે મતદાનના દિવસે આ પ્રકારે પક્ષના પ્રતીકો સાથે પ્રચાર કરવો અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવો એ ચૂંટણી આચારસંહિતાનું ખુલ્લું ઉલ્લંઘન છે.
ફરિયાદની તજવીજ: આ મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા જિલ્લા કલેક્ટર અને સંબંધિત ચૂંટણી અધિકારીઓ સમક્ષ સત્તાવાર રીતે લેખિત ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
કોંગ્રેસ સામે પણ આક્ષેપો અને મતદાન મથક બહાર ઉગ્ર બોલાચાલી
સામે પક્ષે, ભાજપ દ્વારા પણ કોંગ્રેસ વિરુદ્ધ આચારસંહિતા ભંગના વળતા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
વોર્ડ નંબર ૧૬ ના એક મતદાન મથક પર કોંગ્રેસના કાર્યકરો પણ પક્ષના નિશાનવાળા ખેસ ધારણ કરીને હાજર હોવાનું સામે આવતા માહોલ તંગ બન્યો હતો.
ભાજપના કાર્યકરોએ આ બાબતનો ભારે વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે મતદાન મથક બહાર જ બંને પક્ષના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી તેમજ તું-તું મેં-મેં થઈ હતી.
કોંગ્રેસનો બચાવ
વિવાદ વધતાં કોંગ્રેસના કાર્યકરોએ પોતાનો બચાવ કરતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા કે, “ભાજપના લોકો ખુલ્લેઆમ ઢોલ-નગારા સાથે પ્રચાર કરે છે તે ચૂંટણી તંત્રને કેમ નથી દેખાતું? માત્ર અને માત્ર કોંગ્રેસના કાર્યકરોને જ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે.”
આ પેટાચૂંટણી દરમિયાન બંને પક્ષો દ્વારા એકબીજા પર લગવાયેલા આક્ષેપો અને ઘમાસાણને કારણે માંજલપુર પંથકમાં આખો દિવસ રાજકીય ચર્ચાઓનું બજાર રહ્યું હતું.
