હવે 24 કલાક પહેલા જ ટ્રેનના મુસાફરોને થશે કન્ફર્મ ટિકિટની જાણ : સરકારે પાયલોટ પ્રોજેક્ટ રાજસ્થાનમાં શરૂ કર્યો
દેશની રેલવેએ રેલ મુસાફરોની સુવિધા માટે એક મોટી યોજના બનાવી છે. અત્યાર સુધી જો તમે ટ્રેનની ટિકિટ બુક કરાવો છો, તો તમને ટ્રેનના પ્રસ્થાનના ચાર કલાક પહેલા જ ખબર પડે છે કે તમારી ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે રેલવે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે, જે અંતર્ગત કન્ફર્મ ટિકિટ સાથેનો ચાર્ટ 24 કલાક પહેલાં જ જાહેર કરી દેવામાં આવશે. આ માટેનો પાયલોટ પ્રોજેક્ટ રાજસ્થાનમાં શરૂ થયો છે.

રેલવે વિભાગે મુસાફરોની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવવા માટે તૈયારી કરી છે અને તેના ટ્રાયલ પણ શરુ થઈ ગયા છે. રેલવે મુસાફરો ટિકિટ બુક કરાવે છે, ત્યારે ઘણી વખત તમારી ટિકિટ કન્ફર્મ થતી નથી અને વેઇટિંગ લિસ્ટ દેખાડે છે. આ કારણસર ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેની ચિંતા સતત સતાવતી રહે છે.

વળી, લાંબા અંતરની મુસાફરીમાં તો મુસાફરોને ઘણી ચિંતા રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે રેલવેએ એક સિસ્ટમ પર કામ કરવાનું શરુ કર્યું છે. જેના દ્વારા હવે તમને 24 કલાકની અંદર તમારી સીટ કન્ફર્મ થવાની માહિતી મળી જશે.
આ પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે! હવે આધારકાર્ડ વગર તત્કાલ ટિકિટ નહીં થાય બુક : રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો ફેરફાર
રેલવેએ નવી સિસ્ટમ માટે ટ્રાયલ રન પણ શરુ કર્યો છે. છઠ્ઠી જૂનથી આ સિસ્ટમ રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાઈ છે. જો કે, આ સિસ્ટમ હાલ એક ટ્રેન સુધી મર્યાદિત છે. એવું કહેવાય છે કે અત્યાર સુધી તેમાં કોઈ સમસ્યા આવી નથી, એટલે કે, આ પ્રયોગ સકારાત્મક પરિણામો આપી રહ્યો છે અને મુસાફરોને રાહત મળી છે.