લો બોલો! હવે સોનું પણ નકલી, સુરતમાં ઝડપાઇ નકલી સોનાના ચેઈન બનાવવાની ફેક્ટરી, 12 શખ્સોને પોલીસે દબોચ્યા
ગુજરાતમાં અત્યાર સુધીમાં નકલી પોલીસ, ઈન્કમટેક્સ સહિતના વિભાગોના અધિકારીઓ, નકલી જજ, નકલી કોર્ટ, નકલી સરકારી કચેરી, નકલી ઘી, નકલી પનીર સહિતનું અનેક પ્રકારના નકલી લોકો, ખાદ્યવસ્તુઓ પકડાઈ ગયા બાદ હવે સોનાના નકલી ચેઈન બનાવવાની ફેક્ટરી સુરત પોલીસે પકડી પાડી 12 શખસોની ગેંગને દબોચી લીધી હતી. સુરત ઝોન-1 એલસીબી અને સરથાણા પોલીસે વેલંજા વિસ્તારમાં આવેલી રુદ્રાક્ષ સોસાયટીના એક ઘરમાં ધમધમતી આ ફેક્ટરી પર દરોડો પાડી મશીનરી, ડુપ્લીકેટ ચેઈન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરતના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા જ્વેલર્સને ત્યાં છેલ્લા ઘણા સમયથી સોનાના ચેઈન ધાબડી અસલ ચેઈન લઈ જવાના કિસ્સાઓમાં વધારો થયો હોય જ્વેલર્સ એસોસિએશન દ્વારા જ આ ગેંગને પકડવા માટે તૈયારી કરી લેવામાં આવી હતી. દરમિયાન સરથાણાના યોગી ચોકમાં આવેલા શિવમંદિર જ્વેલર્સમાં નકલી ચેઈન વેચવા ગયેલા શખસને જ્વેલર્સે પોલીસના હાથે પકડાવી દીધા બાદ એક બાદ એક કડી જોડી પોલીસ કારસ્તાનના મુળ સુધી પહોંચી ગઈ હતી.

તપાસમાં ખુલ્યા પ્રમાણે આ ગેંગ છેલ્લા બે વર્ષથી જ્વેલર્સને નકલી ચેઈન ધાબડી રહી હતી અને અત્યાર સુધીમાં 20 તોલા જેટલા ખોટા ચેઈન વેચી નાખ્યાની કબૂલાત આપી હતી. આ ગેંગ દ્વારા સોનાના નકલી ચેઈનના હુકમાં માત્ર 23% અસલી સોનુ ઉમેરવામાં આવતું અને ત્યારબાદ તે અસલી ચેઈન છે તેમ કહી અલગ-અલગ જ્વેલર્સમાં જઈને તેને વેચી રોકડી કરી લેવામાં આવતી હતી. આ માટે ગેંગ દ્વારા હોલમાર્ક પણ કરી નાખવામાં આવતા હતા.
આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના કે ષડયંત્ર? AAIB દ્વારા એર ઇન્ડિયાના બ્લેક બોક્સની દિલ્હીની લેબમાં તપાસ

ઉના, સાવરકુંડલા, ભાવનગર, અમરેલીના શખસો ગેંગમાં સામેલ
સુરત ઝોન-1 એલસીબી ટીમ તેમજ સરથાણા પોલીસે નકલી સોનાના ચેઈન બનાવવાની ફેક્ટરી પકડી પાડી છે સાથે સાથે આ કારસ્તાનમાં સામેલ 12 શખસોને દબોચ્યા છે તેમાં તેમાં ગીર-સોમનાથ, પીપરડી (સાવરકુંડલા), ભાવનગરના શખસો પણ સામેલ હોવાનું ધ્યાન પર આવ્યું છે. પોલીસે ઉનાના વિવેક પ્રવિણભાઈ વાઘેલા, સાવરકુંડલાના પીપરડીમાં રહેતા હરેશ ભોળાભાઈ ખટાણા, સાવરકુંડલાના હિપાવડલી ગામે રહેતા અનિલ ઉર્ફે ડોન દિનેશભાઈ મકવાણા, ભાવનગરના જેસરમાં રહેતા રાહુલ હરસુખભાઈ ખાંભલિયા, પીપરડી ગામના રસિક ઉર્ફે બુધો રાણાભાઈ ખાંભલિયા, અમરેલીના વિમલ મુકેશભાઈ લંગાળિયા, પીપરડીના રઘુ રાણાભાઈ ખાંભલિયા, જેસરના હરેશ સુરાભાઈ ચૌહાણ, મનિષ સુરાભાઈ ચૌહાણ, પાલીતાણાના મોતીશ્રી ગામના સુરેશ ઉર્ફે ટપુ ભોપાભાઈ લુણી તેમજ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ખટાવમાં રહેતા રાહુલ તુષારભાઈ મોરે, સોલાપુર (મહારાષ્ટ્ર)ના ગણેશ ચંદ્રકાંત પવાર સહિતને દબોચી લીધા હતા. આ લોકો પાસેથી સોના-ચાંદીના તારપટ્ટા બનાવવાના બે મશીન, બે લેસર માર્કિંગ મશીન તેમજ ત્રણ ડુપ્લીકેટ ચેઈન પણ કબજે કરાયા હતા.