મોદી-અમિત શાહ સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવશે
૨૭ એપ્રિલે અમિત શાહની જામકંડોરણામાં જંગી જાહેરસભા, ૨ મેએ મોદી જૂનાગઢ આવશે
મોદીની ગુજરાત મુલાકાતમાં વડોદરા, દાહોદની બેઠકો ઉપર થશે જોરશોરથી પ્રચાર
કોંગ્રેસ માટે રાહુલ સહિતના નેતાઓ સૌરાષ્ટ્રમાં પ્રચાર કરવા આવે તેવી શક્યતા ઓછી, અન્ય નેતાઓની સભાનું ગોઠવાતું આયોજન
લોકસભા ચૂંટણીનો ગરમાવો ભલે પાછલી ચૂંટણીઓ જેવો ન આવી રહ્યો હોય પરંતુ સળંગ ત્રીજી વખત ગુજરાતની તમામ ૨૬ બેઠકો અંકે કરવા માટે ભાજપ કોઈ કચાશ રાખવા માંગતું નથી. સુરતની બેઠક બિનહરિફ થતાં ભાજપે અહીં જીતનું ખાતું ખોલી નાખ્યું છે. હવે ૨૫ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો વચ્ચે જંગ જામશે. ગુજરાતમાં ૭ જૂને મતદાન થવાનું છે તેના ૯ દિવસ પહેલાં એટલે કે ૨૭ એપ્રિલે અમિત શાહ જામકંડોરણામાં જંગી જાહેરસભાને સંબોધન કરશે. આ પછીના ચાર દિવસ બાદ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨ મેએ જૂનાગઢમાં સભા ગજવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ગાંધીનગરના સાંસદ અમિત શાહ પોતે ચૂંટણી લડી રહ્યા છે. જો કે તેઓ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ હોવાથી સૌરાષ્ટ્રના જામકંડોરણા ખાતે પચાચેક હજારની મેદનીને તેઓ સંબોધન કરશે. જામકંડોરણા બેઠક પોરબંદર લોકસભામાં સામેલ છે અને અહીં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા મેદાનમાં હોવાથી આ બેઠક ઉપર ભાજપ વધુમાં વધુ લીડ હાંસલ કરે તે માટે અમિત શાહની સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧લી મેએ ગુજરાત આવી રહ્યા છે. અહીં તેઓ ૨ મેએ જૂનાગઢમાં જાહેરસભાને સંબોધન કરશે. અહીં રાજેશ ચુડાસમા ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત તેમની મુલાકાત દરમિયાન વડોદરા અને દાહોદની બેઠક પણ પ્રચારમાં આવરી લેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી બાજુ કોંગ્રેસ માટે આ વખતે આબરૂ બચાવવાનો સવાલ હોય તે પણ જોરશોરથી મહેનત કરી રહી છે પરંતુ તેના સ્ટાર પ્રચારકોમાં સામેલ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી અથવા તો મલ્લિકાર્જુન ખડગે સૌરાષ્ટ્રમાં પ્રચાર કરવા આવે તેવી શક્યતા ઓછી છે આમ છતાં અન્ય નેતાઓની સભાઓનું આયોજન ગોઠવવામાં આવી રહ્યાનું કોંગી સૂત્રો જણાવી રહ્યા છે.
રાજકોટમાં મોદીની સભા અંગે હજુ નિર્ણય નહીં
મોદી ૨ મેએ જૂનાગઢમાં જાહેરસભાને સંબોધન કરવા આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં તેમની સભાનું કોઈ આયોજન છે કે નહીં તે અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે હજુ સુધી આ અંગે નિર્ણય લેવામાં આવ્યો નથી. સંભવત: મોદીની રાજકોટમાં જાહેરસભા થાય તેવી શક્યતા ઓછી જ હોવાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું.
મોદીની સભા વખતે ક્ષત્રિયોનું વલણ કેવું રહેશે ? સૌની મીટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સભાને સંબોધન કરવાના છે ત્યારે અત્યારે રાજ્યમાં ક્ષત્રિય સમાજમાં જબ્બર રોષ ભભૂકી રહ્યો હોય બન્ને દિગ્ગજ નેતાઓની સભા વખતે ક્ષત્રિયોનું વલણ કેવું રહે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં થનારી સભા વખતે કોઈ પ્રકારનો વિરોધ ન થાય તે માટે અત્યારથી જ મોવડી મંડળે કમર કસી લીધી છે સાથે સાથે પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ પણ સાબદી બની જવા પામી છે.