આજથી છ દિવસ સૌરાષ્ટ્ર-ગુજરાતને ધમરોળશે મેઘરાજા : જાણો શું કરી હવામાન વિભાગે આગાહી
- સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ જામ્યો
- બીજી જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની હવામાન ખાતાની આગાહી
રાજકોટ
ચોમાસુ ધીરે ધીરે જામતુ જાય છે. હવામાન ખાતાએ આજથી છ દિવસ સુધી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર રામશ્રેય યાદવના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની સંભાવના છે. અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત,નર્મદા, તાપી,ડાંગમાં સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે.
આગામી છ દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. જો કે, હજુ પણ ચોમાસુ ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું નથી. પરંતુ સાઈક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ જામ્યો છે
આજથી છ દિવસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ,સાબરકાંઠા, ભરૂચ, સુરત,ડાંગ,તાપી, પોરબંદર, દ્વારકા,જામનગરમાં આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. તો અમદાવાદમાં આજે સામાન્ય વરસાદનું અનુમાન છે.
28મીએ સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી, 29 મીએ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમન, દાદરા નગર હવેલી અને 30મીએ નવસારી, વલસાડ, દમન, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે વરસાદના અનુમામને લઇને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. આ જ રીતે પહેલી અને બીજી જુલાઈ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, વડોદરા , નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ઘણા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
અત્યાર સુધી કેટલો વરસાદ પડ્યો
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 4.82 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 6.04, દક્ષિણ ગુજરાતમાં 5.74, મધ્ય ગુજરાતમાં 4.75 ટકા વરસાદ નોંધાયો છે.. તો કચ્છમાં 3.94 ટકા અને ઉત્તર ગુજરાતમાં 1.40 ટકા વરસાદ વરસ્યો છે. સાર્વત્રિક વરસાદથી સૌરાષ્ટ્રના જળાશયોમાં ધીમે ધીમે નવા નીરની આવક શરૂ થઇ ગઇ છે. 14 જળાશયોમાં નવા નીરની આવક થતાં રૂપાવટીમાં 12,સસોઈ-2માં 17 ફુટ પાણી આવ્યુ.. 30 ડેમ સાઈટ પર અડધાથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.