સ્વ.વિજયભાઈની વસમી વિદાય : હજારો રાજકોટવાસીઓ ભીની આંખે બોલ્યા,”તસવીર તમારી જોતા હૈયુ રડે છે”
હજારો રાજકોટવાસીઓએ સોમવારે ભીની આંખે પોતાના પ્રિય નેતા અને વિકાસના શિલ્પી એવા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અંતિમ વિદાય આપી હતી. ગ્રીનલેન્ડ ચોકડીથી શરુ થયેલી તેમની અંતિમયાત્રા જુદા જુદા વિસ્તારમાં ફરીને પહેલા તેમના નિર્મલા રોડ સ્થિત ઘરે અને ત્યાંથી ફરતી ફરતી રામનાથપરા મુક્તિધામ પહોંચી હતી અને ત્યાં ‘વિજયભાઈ અમર રહે’નાં ગગનભેદી નારા સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.

હજારો લોકોની ઉપસ્થિતિમાં સ્વ. વિજયભાઈ રૂપાણીનો નશ્વર દેહ પુરા રાજકીય સન્માન સાથે પંચમહાભૂતમાં ભળી ગયો હતો. સ્વ. વિજયભાઈની અંતિમયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના ટોચના લોકો હાજર રહ્યા હતા અને રાજકોટવાસીઓના દુઃખમાં ભાગીદાર બન્યા હતા.

સ્વ. વિજયભાઈની અંતિમયાત્રા વખતે કુદરત પણ રડતી હોય તેવું લાગતું હતું..સમી સાંજે હળવો હળવો વરસાદ પડ્યો હતો અને સ્મશાનયાત્રામાં જોડાયેલા લોકોએ આ વાતને અનુભવી હતી.

આ પૂર્વે બપોરે સ્વ. વિજયભાઈના પાર્થિવ શરીરને લઈને ખાસ વિમાન હીરાસર એરપોર્ટ આવ્યું હતું અને ત્યાંથી શબવાહિનીમાં ગ્રીનલેન્ડ ચોકડી લઈ જવાયું હતું. ગ્રીનલેન્ડ ચોકડીએ હજારો કાર્યકરો અને શહેરીજનોએ વિજયભાઈ અમર રહે નાં નારા લગાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

ગ્રીનલેન્ડ ચોકડીએ આવી પહોંચ્યા બાદ ત્યાંથી કૂવાડવા રોડ ડી-માર્ટ ચોક, રણછોડદાસ આશ્રમ, ડિલક્સ ચોક, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ બેડીનાકા જતા, હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપર, અરવિંદભાઈ મણિયાર હોલ, ચૌધરી હાઈસ્કૂલ ચોક, ધરમ સિનેમા (આર.વર્લ્ડ), બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક, આમ્રપાલી અન્ડરબ્રિજ રેસકોર્સ, રૈયારોડ, આઝાદ ચોક, નરેન્દ્ર પારેખ માર્ગ, હનુમાનમઢી ચોક, નિર્મળા રોડ, નાગનાથ મહાદેવ મંદિરથી પ્રકાશ સોસાયટીમાં `પુજિત’ મકાન સુધી આ યાત્રા પહોંચી હતી અને ત્યાં વિવિધ મહાનુભાવો અને હજારો શહેરીજનોએ અંતિમ દર્શન કર્યા હતા.

ઘર પાસે વિજયભાઈને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી રામનાથપરા મુક્તિધામ સુધીની સફર શરુ થઇ હતી. નિર્મલા રોડ, કાલાવડ રોડ, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ત્રિકોણ બાગ, રાજશ્રી ટોકીઝ થઈને પેલેસ રોડ અને હાથીખાના થઈને રામનાથપરા મુક્તિધામ સુધીની યાત્રા દરમિયાન ચાલુ વરસાદે પણ લોકો મોટી સંખ્યામાં અંતિમ દર્શન માટે ઉભા હતા.
આ પણ વાંચો : પૂર્વ CM સ્વ.વિજયભાઈ રૂપાણીને રાજકોટમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય : મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

લોકોની ભારે ભીડને કારણે જાહેર કરેલો સમય પણ જાળવી શકાયો ન હતો અને દરેક કાર્યક્રમ બે કલાક મોડો થયો હતો. રાત્રે મુક્તિધામમાં સ્વ. વિજયભાઈને અંતિમ વિદાય આપવામાં આવી હતી.