KBZ આગ ઘટના : 50 કરોડનો વીમો અને નુકસાન પણ 50 થી 55 કરોડનું જ થતાં, KBZ કંપની સામે ઉઠ્યા સવાલ
રાજકોટમાં ગઇકાલે કૂવાડવા હાઈ-વે પર નાકરાવાડી ગામ નજીક આવેલી કેબીઝેડ નામની નમકિન બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં સવારે 24 માર્ચ અને સવારે 9:25 વાગ્યે ફોન આવતાં જ ફાયર ફાઈટરો દોડ્યા બાદ પાણી-ફોમનો મારો ચલાવી નવ કલાકે આગ કાબૂમાં લીધી. આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં ત્રણ શેડમાં ફેલાયેલી ફેક્ટરી આગમાં ખાક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આગ લાગ્યા બાદ કેટલું નુકસાન થયું છે તેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી છે.

50 થી 55 કરોડનું નુકસાન
કેબીઝેડ નમકિનના માલિક અશોકસિંહ ઝાલાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની ફેક્ટરી 2019થી કાર્યરત છે. આ ફેક્ટરી ત્રણ એકર જમીન પર ફેલાયેલી છે અને તેમાં ૨૪ કલાક નમકિનનું ઉત્પાદન ચાલું રહે છે. અહીં 110 લોકોનો સ્ટાફ શિફ્ટ પ્રમાણે નોકરી કરે છે. સદ્ભાગ્યે આગને કારણે કોઈને નુકસાન થયું નથી. સાથે સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે ફેક્ટરીનો 50 કરોડ રૂપિયાનો વીમો પણ ઉતારવામાં આવ્યો છે. ત્યારે આજે ફાયર વિભાગ દ્વારા જાહેર કરેલી વિગતો અનુસાર તેમજ ફેક્ટરીના માલિકના જણાવ્યા અનુસાર આશરે 50 થી 55 કરોડનું નુકસાન થયું છે.

2019થી કેબીઝેડ કંપનીમાં નમકિનનું ઉત્પાદન કરવામાં આવતું હતું
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ૨૦૧૯થી શરૂ થયેલા કેબીઝેડ નમકિનમાં અલગ-અલગ પ્રકારના નમકિનનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને દરરોજ લાખો રૂપિયાનો માલ અહીંથી તૈયાર થઈને સપ્લાય કરવામાં આવતો હતો. દરમિયાન સોમવારે સવારે 9:25 વાગ્યે ફાયરબ્રિગેડને ફોન આવ્યો કે ફેક્ટરીમાં આગ લાગી છે. આ ફોન આવતાં જ તુરંત જ રાજકોટથી ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો. જોતજોતામાં આગ પ્રસરી જતાં કાલાવડ, ગોંડલ સહિતના સ્થળેથી ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા.

70થી વધુ કર્મીઓને બચાવી લેવામાં આવ્યા
50થી વધુ ફાયર જવાન અને આઠ ફાયર ફાઈટરે સવારે 9:25 વાગ્યાથી લઈ સાંજે 6:15 વાગ્યા સુધીમાં ફોમ-પાણીનો મારો ચલાવી નવ કલાકે આગ તો કાબૂમાં લઈ લીધી હતી પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય શેડ સળગી ગયા હતા. સદ્નસીબે બોયલર અને ઓઈલ ટેન્કને બચાવી લેવાઈ હોવાથી બ્લાસ્ટ થયો ન્હોતો. જ્યારે આગ લાગી ત્યારે ફેક્ટરીમાં 70થી વધુ કર્મીઓ કામ કરી રહ્યા હતા જેમને સૌથી પહેલાં બહાર કાઢવામાં આવ્યા હતા.