કડી-વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ : મતનો વરસાદ કોને ભીંજવશે? ભાજપ અને AAP વચ્ચે ટક્કર, ગોપાલ ઇટલીયા આગળ
વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરી આજે સોમવારે સવારથી હાથ ધરવામાં આવી હતી અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થયા બાદ મતદારોએ ભાજપ-કોંગ્રેસ કે આપ એ ત્રણમાંથી કોના ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે તે જાહેર થઈ જશે. વિસાવદરમાં 56.89 ટકા અને કડીમાં 57.90 ટકા મતદાન થયું હતું. આજે મત ગણતરીને ધ્યાનમાં લઈને બંને જિલ્લાનાં વહીવટી તંત્રએ પૂરી તૈયારી કરી લીધી છે.
અડધાથી વધુ મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. વિસાવદરમાં 11માં રાઉન્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આપના ગોપાલ ઇટાલિયાને 38310 મત, ભાજપના કિરીટ પટેલને 33052 મત મળ્યા કોંગ્રેસના નીતિન રાણપરિયાને માત્ર 3750 મત જ મળ્યા, ગોપાલ ઇટાલિયાને 5658 મતથી આગળ, કડીમાં ભાજપને 21000 મતની લીડ મળી છે.
આ પણ વાંચો : ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
વિસાવદર : 10 રાઉન્ડના અંતે AAP 4181 મતથી આગળ
AAP : 34781
ભાજપ : 30600
કોંગ્રેસ: 3458
વિસાવદરમાં 9 રાઉન્ડના અંતે AAP 2478 મતથી આગળ
AAP : 30788
ભાજપ : 28310
કોંગ્રેસ: 3157
વિસાવદર બેઠક પર ભાજપના કિરીટભાઈ બાબભાઈ પટેલ, કોંગ્રેસના નિતિન રાણાપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાનમાં છે. જ્યારે કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા, ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિહ ચાવડા અને આપના ઉમેદવાર જગદીશ ચાવડા વચ્ચે જંગ છે.
આ બેમાંથી ખાસ કરીને વિસાવદરની બેઠક ઉપર બધાનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. ગત ચૂંટણી વખતે આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી વિજેતા બની હતી પરંતુ ત્યારબાદ ધારાસભ્ય ભાજપમાં ભળી જતા આ બેઠક ખાલી પડી હતી. આ વખતે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલીયાને મેદાનમાં ઉતારેલા છે અને તેના પ્રચાર માટે આપના સંયોજક અરવિદ કેજરીવાલ એકથી વધુ વખત પ્રચાર માટે આવી ગયા છે. બીજી તરફ ભાજપ માટે આ બેઠક આંચકી લેવી એટલી જ મહત્વની છે.
ભલે આ એક કે બે બેઠકના પરિણામથી વિધાનસભાના ગણિત ઉપર કોઈ ફેર પડવાનો નથી પરંતુ ભાજપ અને આપની પ્રતિષ્ઠા ચોક્કસ દાવ ઉપર લાગેલી છે. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી ત્યારે ખુદ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. આ સિવાય આ બેઠક જીતાડવાની જવાબદારી ધારાસભ્ય જયેશ રાદડીયાને આપવામાં આવી છે.
આ સ્થિતિ વચ્ચે બેની લડાઈમાં ત્રીજો ફાવે તેવી આશામાં કોંગ્રેસે પણ જીતની આશા વ્યક્ત કરી છે. કોંગ્રેસનાં નીતિન રાણપરીયાના પ્રચાર માટે એક વખત પ્રદેશના નેતાઓ આવ્યા હતા બાકી તેનો પ્રચાર શુષ્ક જણાતો હતો. આ જ રીતે કડીની બેઠક ઉપર ત્રણ ચાવડા વચ્ચે જંગ છે અને ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયે જીત માટે દાવા કર્યા છે ત્યારે સોમવારે બપોર સુધીમાં મતના વરસાદમાં કોણ ભીંજાયુ છે તે સ્પષ્ટ થઇ જશે.