જગદીશ બાંગરવા: પ્રજા માટે કામ કરતા અધિકારી જ પ્રજાની પહેલી પસંદ,અસંખ્ય ગુનેગારોને ગુજસીટોકમાં મોકલી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCPએ ગાંગરતા કર્યા
કાયદો અને વ્યવસ્થાની પરિભાષામાં મજબૂત આધારસ્તંભ સમી કામગીરી હોય તો એ છે પોલીસની. રાજકોટ શહેરમાં એક એવા નખશીખ શુદ્ધ, ગુનેગારો માટે ગરમ સાથે સામાન્ય જન માટે નરમ મનાતા ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાને નાહક રીતે નમાવવા કે દબાવવાના થયેલા કથિત પ્રયાસોને પછડાટ મળી છે. કહેવત છે કે ‘સત્ય પરેશાન હોતા હૈ, પરાજિત નહીં’ની માફક છેલ્લા થોડા દિવસથી જે બૂમબરાડા ચાલી રહ્યા છે કે સુરેશ વડેચા નામના ઈસમને થર્ડ ડિગ્રીથી પણ ક્રૂર રીતે ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી દ્વારા ટોર્ચર કરાયો. જો કે મેડિકલ રિપોર્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું છે. જે રીતે બરાડા પડાયા કે શરીરના ચોક્કસ ભાગોમાં આ કરાયું, તે કરાયું, આવું કશું જ તબીબ પરીક્ષણમાં નીકળ્યું નથી. ડીસીપી બાંગરવા સામેના આક્ષેપો કે હાકલા પડકારા બૂમરેંગ સાબિત થતાં સત્ય મેવ જયતે જ માનવું પડે.
તોફાની ટપુડાઓ, બાળકોને કાબુમાં રાખવા વાલીઓએ જે રીતે કડક રહેવું પડે અને એ રીતે સમજ આપવી પડે. પોલીસે પણ ગુના આચરતા તત્વોને કન્ટ્રોલ કરવા સમાજ સુધારકની ભૂમિકા માફક રોલમાં રહેવું પડે છે. રાજકોટ શહેરમાં એવું નથી કે પોલીસ કડક નથી પરંતુ જ્યારે તેમના મુખિયા મજબૂત હોય ત્યારે ટીમને વધુ મજબૂતી કે કામ કરવાની સ્ટેમીના સ્ટ્રેન્થ મળે છે. રાજકોટ સિટીમાં TRP કાંડ બાદ પોલીસ ઓફિસર્સની બદલીઓમાં સિટીમાં DCP ઝોન-2 તરીકે તેજ તરાર જેવા યંગેસ્ટ ઓફિસર જગદીશ બાંગરવાનું પોસ્ટિંગ થયું. તેમની કામગીરીના પેરામીટર્સ તેમજ શહેરની કાયદો-વ્યવસ્થા કે ક્રિમિનલ્સ પર સિકંજો વધુ કસવા માટે રાજ્ય સરકાર દ્વારા જ જનહિતના લક્ષ્યને ધ્યાને રાખી રાજકોટ સિટી DCP ક્રાઈમ તરીકે જગદીશ બાંગરવાનું 7 માસ પૂર્વે તા.21-8-25ના રોજ પોસ્ટિંગ થયું હતું.
DCP ઝોન-2ની કામગીરીમાં જ બાંગરવાની કડકાઈ કે છાપ પારખી ગયેલા ગુનેગારો કે અસામાજિક તત્વો, ધંધાર્થીઓ માટે હવે શહેરભરમાં ક્યાંય કોઈ ઉત્પાત મચાવે કે ગુના આચરે તો બાંગરવાના હાથ (એટલે કે ક્રાઈમ બ્રાન્ચ) ત્યાં પહોંચી શકે. ગુનેગારો સામે એમની ભાષામાં કાયદાના પાઠ ભણાવાતા રાજકોટ શહેરમાં ક્રાઈમનો ગ્રાફ કન્ટ્રોલ થયો. હા, નાની-મોટી છૂટછાટ શેરી-ગલીની ઘટનાઓ બને તે ઠીક બાકી મોટા ગુનાઓ અટક્યા. કર્મ એ જ ધર્મ, નિષ્ઠા સાથેની ફરજથી રાજકોટ સિટીમાં ગુનાખોરીને સાફ કરવા કે સુધારણા અભિયાન ચલાવતા DCP ક્રાઈમ બાંગરવા ગુનાઈત તત્વો કે તેમના પરદા પાછળના કસબીઓને ખૂંચવા લાગ્યા હોય જ.
કારણ કે ધાર્યું ન થઈ શકે. સામાન્ય જન સત્ય વાત સાથે જાય તો તેમનું કામ તુરંત જ થાય, આવું સરળ વ્યક્તિત્વ DCP બાંગરવાને તાજેતરમાં સુરેશ વડેચા નામના એક ઈસમને બેરહેમીથી માર મરાયો, પૂંઠના ભાગે પેટ્રોલ ચડાવાયું સહિતના આક્ષેપો કરાયા, બાંગરવાને બદલાવો, ડિસમિસ કરો સહિતની વાત ગજવવાના બહુ પ્રયાસો થયા. જો કે, આક્ષેપો કે બરાડા ગમે તેટલા હોય પરંતુ સત્ય તો દસ્તાવેજી પુરાવાઓ જ રહે.
DCP બાંગરવા સામે થયેલા કથિત આક્ષેપોમાં સારવાર માટે હોસ્પિટલમાં રહેલા સુરેશનું તેણે જે રીતે ટોર્ચર કરાયાની ખરી-ખોટી વાતો કરી હતી તેની તપાસ માટે મેડિકલ ચેકઅપ કરાયું હતું. તબીબ પરીક્ષણમાં સ્પષ્ટ થયું છે કે યુવકના ગુદાના ભાગે પેટ્રોલ, બર્ન્સ (સ્કિન દાઝવી કે તતળી જવી), બ્લડ કે આવા કોઈ નિશાન છે નહીં. મેડિકલ રિપોર્ટથી હવે રાજકીય રોટલા શેકવાના પ્રયાસો કે અંગત હિતશત્રુઓના પ્રયાસો, બરાડા બૂમરેંગ સાબિત થયા છે.
એક સર્વેમાં DCP બાંગરવાની કાયદો-વ્યવસ્થા માટે સતત સક્રિય રહેવાની કામગીરી છે તેને લઈને રાજકોટવાસીઓ, પ્રજાજનોમાં તેમની એક આગવી ઓળખ અને પ્રજાભિમુખ અધિકારીની છાપ બની છે. પ્રજા પણ પ્રમાણિક અધિકારીની પડખે છે. શહેરીજનોમાં એક અવાજ ઉઠ્યો છે કે, આવા અધિકારીઓ છે તો શહેર અને લોકો બન્ને સલામત છે. શાંતિ બરકરાર છે. આ માટે શહેરીજનો સરકારનો પણ આભાર માને એટલો ઓછો પડે કે રાજકોટને સારા અધિકારી આપ્યા.
કોમનમેનનો અંતર્નાદ: અમારા માટે આશાનું કિરણ બની ક્રાઈમ બ્રાન્ચ, સરકારનો ખાસ આભાર
ક્રાઈમ બ્રાન્ચ નામ સાંભળતા જ ત્યાં જવા માટે સામાન્ય જન (કોમનમેન) તો વિચારે જ. DCP બાંગરવાના પોસ્ટિંગ બાદ ક્રાઈમ બ્રાન્ચની કચેરી આશાનું કિરણ બની ગઈ છે. જો ત્યાં રજૂઆત કરવી, મદદ માંગવા કે ફરિયાદ માટે જવું હોય તો છેડા શોધવા કે ભલામણ કરાવવી પડે. વર્તમાન સ્થિતિમાં કોઈ સીધો સરળ સાઈકલસવાર નાનો વ્યક્તિ પણ પોતાની વ્યથા રજૂ કરવા એક આશા સાથે પહોંચે છે. વેપારીઓથી લઈ ઉદ્યોગપતિઓ કે શહેરીજનો ફરિયાદ રજૂ કરે છે અને અસરકારક પરિણામ મળે છે. એક વૃદ્ધાએ તો ત્યાં સુધી કહ્યું કે, હું ઓળખતી નહોતી, કોઈએ કહ્યું કે ત્યાં જાવ આ સાહેબને મળો. હું ક્રાઈમ બ્રાન્ચે પહોંચી. બાંગરવા સાહેબને મળવું હતું. સાહેબ તો બહાર જતા હતા. ઉતાવળમાં હતા પરંતુ તેઓ તુરંત જ પરત ફર્યા, મને સાંભળી. મારા જેવા તો કેટલાય નાના માણસોને મદદ મળી હશે. ખરેખર આવા અધિકારીઓ અમારા જેવા લોકો માટે ભગવાનરૂપ કહેવાય. આ માટે તો સરકારનો પણ આભાર માનવો પડે કે તમે રાજકોટને આવા સારા અધિકારી આપ્યા.
અરે, શહેરીજનો માટે ખરા જ, અમારા માટે પણ અર્ધી રાતનો હોંકારો છે: પોલીસ
બાંગરવાએ રાજકોટ શહેરમાં DCP ઝોન-2 તરીકે ફરજ બજાવી હતી ત્યારે તેમના તાબાના પોલીસ મથકના અધિકારીઓથી લઈ નાના કર્મચારીઓ અને 7 માસથી ક્રાઈમ બ્રાન્ચમાં મુકાયા બાદ ત્યાંના અધિકારીઓ, સ્ટાફ કહે છે કે, સાહેબ શહેરીજનો માટે તો ખરા, અમારા બધા માટે સિટી પોલીસ માટે અર્ધી રાતનો હોંકારો છે. ક્યારેય પણ તેમને કોલ કરો તો સાંભળીને યોગ્ય માર્ગદર્શન અને તુરંત જ સ્થળ પર પણ પહોંચે. તેમની લીડરશિપથી સ્ટાફને પણ નવી ઉર્જા મળે છે. સાથે એવું પણ છે કે હા, કોઈ અધિકારી પ્રજાકીય કામમાં ચૂક કરે અથવા તો કાયદો-વ્યવસ્થા સંભાળવાના કામમાં કસૂર ઠરે તો સાહેબ આવા સ્ટાફ માટે આકરા પણ છે. ક્રાઈમ બ્રાન્ચમાં સાહેબ આવ્યા ત્યારથી અહીં અરજદારો, રજૂઆતકર્તાઓ પણ આશા રાખીને આવ્યા છે. નાઈટ પેટ્રોલિંગમાં પણ તેઓ સતત સાથે રહેતા હોય છે. ડ્યુટી ફર્સ્ટની માફક રાત-દિવસ નથી જોતા.
રાજકોટ શહેર પોલીસનું ટીમ વર્ક પોલીસ કમિશનર અન્ય અધિકારીઓના સપોર્ટથી વધુ મજબૂત બન્યું
રાજકોટ શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ક્રાઈમ બ્રાન્ચથી લઈ અન્ય શાખાઓ પોલીસ મથકો ફ્રી હેન્ડ વર્ક કરી શકે છે. તેની પાછળ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અન્ય અધિકારીઓનો મોરલ સપોર્ટ પણ એટલી જ મહત્વની ભૂમિકારૂપ છે જેથી જ ક્રાઈમ કન્ટ્રોલ કરવા પોલીસ દોડવા માટે સશક્ત બની છે.
અસંખ્ય ગુનેગારોને ગુજસીટોકમાં મોકલી ગાંગરતા કર્યા DCP બાંગરવાએ
રાજકોટ સિટી ક્રાઈમ બ્રાન્ચ DCP તરીકે પોસ્ટિંગ થયા બાદ જગદીશ બાંગરવાએ શહેરમાંથી ગુનાખોરીનો સડો સાફ કરવા માટે સીધા જ ગુજસીટોકના બ્રહ્માસ્ત્રના ઉપયોગનો આરંભ કરાવ્યો, શહેરમાં મર્ડરથી લઈ આવા ગંભીર અપરાધો કરનાર ગેંગોનો સફાયો કરવા માટે કૂખ્યાત પેંડા ગેંગથી પાયો નાખ્યો, પેંડા ગેંગ, બાદ મુરગા ગેંગ, બાટલી ગેંગ, ઓડિયા ગેંગ અને ઈભલા ગેંગના 69 અસામાજિક તત્વોને જેલમાં ધકેલી દઈને જેલના સળિયા પાછળ ગાંગરતા કરી મુક્યા છે. બાંગરવાએ આવી અન્ય 3 ગેંગો હજુ પુરવાની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચની ટીમ ચલાવી રહી છે.
