IPL: દસેય ટીમના કેપ્ટન જાહેર: પાંચના બદલાયા, પાંચના યથાવત ; લખનૌ, દિલ્હી, પંજાબ, બેંગ્લુરુ અને કોલકત્તાના નેતૃત્વમાં પરિવર્તન
આઈપીએલની આગલી સીઝન શરૂ થવા આડે હવે છ દિવસનો સમય બાકી છે ત્યારે આ વખતે અનેક ટીમે પોતાનો સુકાની બદલ્યો છે. ચેન્નાઈ સુપરકિંગ્સની કમાન ઋતુરાજ ગાયકવાડ સંભાળશે જેણે ગત સીઝનમાં પણ કેપ્ટનશિપ કરી હતી. લખનૌ સુપર જાયન્ટસે આ વખતે પોતાનો કેપ્ટન બદલ્યો છે. ફ્રેન્ચાઈઝીએ ૨૭ કરોડની કિંમતે ખરીદેલા ઋષભ પંતને ટીમનો કેપ્ટન બનાવ્યો છે.
પાછલા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળનાર હાર્દિક પંડ્યા આ વખતે પણ ટીમનો સુકાની રહેશે અને તેની આગેવાનીમાં જ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ સહિતના ખેલાડી રમશે. જો કે પ્રથમ મેચમાં હાર્દિક ગેરહાજર હોવાથી સૂર્યકુમાર યાદવ કેપ્ટન રહેશે.
સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલમાં ઘણો સંઘર્ષ કર્યો છે. જો કે પાછલી સીઝનમાં તેણે પેટ કમિન્સને કેપ્ટન બનાવ્યા બાદ તે ટીમને ફાઈનલ સુધી લઈ ગયો હતો ત્યારે આ વખતે પણ ટીમની જવાબદારી તેના હાથમાં જ રહેશે.
કોલકત્તા નાઈટ રાઈડર્સે પણ પોતાનું નેતૃત્વ બદલ્યું છે. પાછલા વર્ષે કેકેઆરને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યરને ટીમે રિટેન કર્યો ન્હોતો જેથી આ વર્ષે ટીમે અજિંક્ય રહાણેને ટીમની કમાન સોંપી છે. ગુજરાત ટાઈટન્સે શુભમન ગીલને કેપ્ટન તરીકે જાળવી રાખ્યો છે. પંજાબ કિંગ્સનો કેપ્ટન પણ બદલ્યો છે અને હવે ટીમની કમાન શ્રેયસ અય્યર સંભાળશે. આ જ રીતે દિલ્હી કેપિટલ્સે પણ અક્ષર પટેલને પોતાના નવા સુકાની તરીકે પસંદ કર્યો છે. સંજુ સેમસન પાછલી સીઝનની જેમ આ સીઝનમાં પણ રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરશે.
આઈપીએલની સૌથી ચર્ચાસ્પદ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનું સુકાન રજત પાટીદારના હાથમાં રહેશે.