નોકરી કરવી હોય તો કરો રૂ. 5,500 જ પગાર મળશે! રાજકોટ કલેકટરના તાબા હેઠળની કચેરીઓમાં જ લઘુતમ વેતનધારાનો ભંગ
રાજ્યના શ્રમ અયુક્તિની કચેરી દ્વારા સમગ્ર રાજ્યમાં સરકારી, અર્ધ સરકારી કચેરીઓ અને ખાનગી સંસ્થામાં કામ કરતા કર્મચારીઓને દૈનિક પગાર ભથ્થા ચૂકવવા માટે મહેનતાણું નક્કી કરવામાં આવતું હોય છે. જો કે ખાનગી સંસ્થાઓ કે દુકાનોમાં લઘુતમ વેતનધારાનો ભંગ થાય તે માની શકાય તેવી બાબત છે પરંતુ સમગ્ર જિલ્લાના રાજા ગણાતા જિલ્લા કલેકટરના તાબા હેઠળની કચેરીમાં જ લઘુતમ વેતનધારાનો ભંગ થાય તો તે ખરેખર શર્મનાક બાબત છે. રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કલેકટર કચેરીના તાબા હેઠળ આવેલ વિવિધ ઈ-ધરા કેન્દ્ર અને જનસેવા કેન્દ્રમાં મેનપાવર સપ્લાયર કોન્ટ્રાકટર દ્વારા હાલમાં કોમ્પ્યુટર ઓપરેટરોના પગારમાં 50 ટકાનો કાપ મૂકી સરાજાહેર લઘુતમ વેતનધારાનો ભંગ કર્યો છે. માર્ચ મહિનાથી કોન્ટ્રાકટ સંભાળનાર પેઢીએ તમામ ઓપરેટરોને 5500 પગારમાં કામ કરવા મજબુર કર્યાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટર કચેરી, તમામ મામલતદાર કચેરીઓ તેમજ મામલતદાર કચેરીમાં આવેલ ઈ-ધરા કેન્દ્રમાં આવકના દાખલા, નોન ક્રીમીલેયર દાખલા, જાતિ અંગેના દાખલા, ઇડબ્લ્યુએસ, સિનિયર સીટીઝનના પ્રમાણપત્ર, 7/12, 8(અ), ગામ નમૂના નંબર-6, સહિતની વિવિધ કામગીરી માટે કોમ્પ્યુટર ઓપરેટરો મુકવામાં આવ્યા છે. હાલમાં માર્ચ 2025થી રાજકોટ જિલ્લામાં કલેકટર ઓફિસથી લઈ જુદી-જુદી મામલતદાર કચેરીઓમાં જનસેવા તેમજ ઈ-ધરા કેન્દ્રમાં મેનપાવર સપ્લાય અને સંચાલનની કામગીરી પાલનપુરની દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટને સોંપવામાં આવી છે. જેમાં ટ્રસ્ટના નામે કોન્ટ્રાકટ મેળવનાર પેઢીને જિલ્લા ક્લેક્ટરતંત્ર દ્વારા પ્રત્યેક દાખલા અને 7/12ના ઉતારાની નકલ માટે નક્કી કરેલી રૂપિયા 8થી 11.50 પૈસા એન્ટ્રી દીઠ ચુકવવામાં આવી રહ્યા છે.
બીજી તરફ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં વર્ષોથી એકહથ્થુ રીતે જનસેવા અને ઈ-ધરા કેન્દ્રનો કોન્ટ્રાકટ ધરાવતી પેઢીનો કોન્ટ્રાકટ પૂર્ણ થઈ જતા છેલ્લા છ મહિનાથી સરકારી સ્ટેશનરીનો ઉપયોગ કરી પ્રત્યેક એન્ટ્રીના ભાવ વધારવા માટે જીદ પકડતા આની આજ પેઢીને બીજા નામે એટલે કે દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટના નામે ભાવવધારા સાથે તંત્રએ કોન્ટ્રાકટ આપ્યો છે. જો કે, ઉંચા ભાવે કોન્ટ્રાકટ મળવા છતાં આ કોન્ટ્રાકટરે જનસેવા અને ઈ-ધરાના તમામ કોમ્પ્યુટર ઓપરેટરોની તાજેતરમાં ઓનલાઇન મિટિંગ કરી અગાઉ ચુકવતા 9000થી 9500 જેટલા પગારને બદલે ફક્ત રૂપિયા 5,500 જ પગાર મળશે, કામ કરવું હોય તો કરો નહીં તો ચાલતી પકડો તેવી સ્પષ્ટ ચીમકી આપી દેતા હાલમાં કોમ્યુટર ઓપરેટરો મુસીબતમાં મુકાયા છે. આ બાબતે ઓપરેટરોએ જિલ્લા કલેકટર કચેરીમાં ઉચ્ચ અધિકારીને ફરિયાદ પણ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો : વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના 11 વર્ષ પૂર્ણ : મોદી શાસનમાં ગરીબ કેન્દ્રમાં રહ્યા, વિરાસત સાથે વિકાસનું સૂત્ર સાર્થક
ત્રણ મહિનાથી પગાર પણ નથી ચુકવાયો
રાજકોટ શહેર અને જિલ્લામાં જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્રમાં કોમ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ નામના કોન્ટ્રાકટરે છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહીં ચુકવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે અધિક જિલ્લા કલેક્ટરને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, અગાઉના કોન્ટ્રાકટ મુદ્દે બિલ અટકાવવા આવ્યા છે. જો કે,કોન્ટ્રાકટની શરતો મુજબ સરકારી બિલ વહેલું-મોડું આવે તો પણ કોન્ટ્રાક્ટરને ઓપરેટરોના પગાર ચુકવવામાં વિલંબ કરી શકાતો નથી. આમ છતાં પણ મેનપાવર કોન્ટ્રાકટર દ્વારા હાલમાં ત્રણ મહિનાના પગાર અટકાવી દેતા ઓપરેટરોની સ્થિતિ દયનિય બની છે.
આ પણ વાંચો : ભાઈ-બહેનના સબંધને લાગ્યું લાંછન : લગ્નની લાલચ આપી પિતરાઈ ભાઈએ જ બહેન પર આચર્યું દુષ્કર્મ
કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રના ઓપરેટરને 12 હજાર પગાર
ઈ-ઘરા અને જનસેવા કેન્દ્રનો કોન્ટ્રાકટ ધરાવતા દેવીદાસ વિવિધ વિકાસલક્ષી ટ્રસ્ટ દ્વારા પોતાની પોલ છતી ન થાય તે માટે જુદી-જુદી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરોના પગાર 5,500 કરી નાખ્યા છે પરંતુ જિલ્લા કલેકટર કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રના ઓપરેટરોને કામગીરી ઓછી હોવા છતાં હાલમાં 12000 રૂપિયા પગાર આપવામાં આવતો હોવાનું ઓપરેટરો જણાવી રહ્યા છે. સાથે જ કોન્ટ્રાકટર દ્વારા પીએફ અંગેની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવતી હોવાનું જાણવા મળે છે.