શું RO-KO 2027નો વર્લ્ડકપ રમશે? MS ધોનીએ આપ્યો સ્પષ્ટ જવાબ:કહ્યું-‘ઉંમર નહીં, ફિટનેસ જુઓ’
ભારતીય ટીમે મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં પ્રથમ ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. તેના 17 વર્ષ બાદ 2024માં ભારતે બીજી વખત ટૂર્નામેન્ટને પોતાના નામે કરી હતી. હવે ડિફેન્ડિંગ ચેમ્પિયનના રૂપમાં ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડકપ-2026માં ઉતરશે. અત્યાર સુધી કોઈ પણ ટીમ એક બાદ બીજો વર્લ્ડકપ જીતી શકી નથી.
દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય ટીમના વખાણ કરતાં કહ્યું કે ટીમમાં એ બધું જ છે જેની જરૂર હોવી જોઈએ. એક કાર્યક્રમમાં બોલતા ધોનીએ કહ્યું કે ભારતની આ ટીમ સૌથી ખતરનાક ટીમ પૈકીની એક છે. એક સારી ટીમમાં જે કંઈ પણ હોવું જોઈએ તે બધું તેમાં ઉપલબ્ધ છે. ટીમ પાસે ખાસ કરીને આ ફોર્મેટનો બહોળો અનુભવ પણ છે. ધોનીએ ઉમેર્યું કે ભારતમાં રમનારા મુકાબલામાં ઝાકળની ભૂમિકા મહત્વની હોય છે.
સાંજ પડતાંની સાથે જ ઝાકળ પડવાને કારણે બેટિંગ સરળ થઈ જાય છે અને બોલરોને પરેશાની થવા લાગે છે. આવામાં રન ચેઈઝ કરવા સરળ થઈ જાય છે. ભારતીય ટીમમાં સામેલ ખેલાડીઓએ દબાણની સ્થિતિમાં સારું પ્રદર્શન કર્યું છે. ધોનીને જે વસ્તુ પરેશાન કરે છે તે ઝાકળ છે જેનાથી મને ખૂબ જ નફરત છે. ઝાકળને કારણે બધું જ બદલાઈ જાય છે એટલા માટે હું જ્યારે રમી રહ્યો હતો ત્યારે મને ઝાકળથી ખૂબ જ ડર લાગતો હતો. આ સ્થિતિમાં ટોસ મહત્વનો બની જશે. તેણે એમ પણ ઉમેર્યું કે રોહિત અને કોહલી મુદ્દે ઉંમર નહીં બલ્કે પ્રદર્શનને ધ્યાનમાં લેવા જોઈએ.
આ પણ વાંચો :PM મોદીનું લોકસભામાં સંબોધન આજે પાછું ઠેલાયું: રાહુલ ગાંધીએ કહ્યું, તેઓ ડરેલા છે, મેં પહેલા જ કહ્યું હતું, તેઓ સંસદમાં નહીં આવે
ભારતીય ટીમના તમામ મેચ સાંજે સાત વાગ્યાથી
ટી-20 વર્લ્ડકપ-2026માં ભારતીય ટીમના તમામ મુકાબલા સાંજે સાત વાગ્યાથી શરૂ થશે. આવામાં લક્ષ્યાંકનો બચાવ કરવો મુશ્કેલ બની જાય છે. રાત પડતાની સાથે જ ઝાકળ વધી જાય છે જેના કારણે બેટરને રન બનાવવામાં સરળતા રહે છે.
