“મને સ્નેહલે ઉશ્કેર્યો એટલે મેં હત્યા કરી” લૂંટ વિથ મર્ડરની ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયે આરોપી કિશન ‘પોપટ’ બન્યો
પાંચ દિવસ પહેલાં રાજકોટના વાલકેશ્વર સોસાયટી મેઈન રોડ પર શ્રીનગર શેરી નં.3માં રહેતાં બરકતભાઈ ગુલામહુસેનભાઈ લાખાણી (ઉ.વ.70) નામના વૃદ્ધની તેમના જ ઘરમાં ઘૂસી હત્યા કર્યા બાદ 7.755 લાખ રૂપિયાના ઘરેણા સહિતની લૂંટ ચલાવવાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે ધરમ સિનેમા પાસે કારડિયા રાજપૂત છાત્રાલયમાં રહેતાં કિશન માનસિંગ વાઢેર (ઉ.વ.22) અને તેની કોઠારિયા સોલવન્ટમાં રહેતી સ્નેહલબા પ્રતાપસિંહ ગોહિલ (ઉ.વ.22)ને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા બાદ ભક્તિનગર પોલીસ મથકને સોંપ્યા હતા. દરમિયાન બન્નેને ત્રણ દિવસમાં રિમાન્ડ પર લીધાં બાદ ઘટનાનું રિ-ક્નસ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું હતું. બન્નેની આગવીઢબે કરાયેલી પૂછપરછમાં કિશન વાઢેર ભાંગી પડ્યો હતો અને તેણે સ્નેહલની ઉશ્કેરણીને કારણે જ આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હોવાનું કથન કર્યે રાખ્યું હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

બન્નેએ બરકતભાઈ લાખાણીની હત્યા કરતાં પહેલાં 72 કલાક સુધી પ્લાનિંગ પણ કર્યું હતું અને કેવી રીતે વૃદ્ધની હત્યા કરી, હત્યા કર્યા બાદ કેવી રીતે ભાગી જવું, ભાગીને ક્યાં રોકાવું તે સહિતના મુદ્દા સામેલ હતા. આ બન્ને શુક્રવારે બરકતભાઈના ઘરમાં ઘૂસ્યા હતા ત્યાં બરકતભાઈએ બન્નેને પોતાનું ઘર પણ બતાવ્યું હતું. આ પછી કિશને વૃદ્ધ પાસે પાણી ક્યાં પડ્યું હશે તેવું પૂછતાં બરકતભાઈ કિશન માટે પાણી લેવા ઉભા થયા કે પાછળથી કિશને તેમને પકડી લઈને ગળા ઉપર છરીનો ઘા મારી દીધો હતો. ત્યારબાદ સ્નેહલબાએ કિશન પાસેથી છરી લઈને ઉપરાછાપરી ઘા ઝીકી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ પણ વાંચો : સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?

બરકતભાઈ મૃત્યુ પામ્યા છે તેની ખરાઈ કર્યા બાદ બન્નેએ પહેલાં સ્નાન કર્યું હતું અને લોહીવાળા કપડાં બદલાવી નાખ્યા હતા. આ પછી બન્નેએ માથે ટોપી પહેરી લીધી હતી તો સ્નેહલબાએ મોઢે બુકાની ધારણ કરી લીધું હતું. ઘરની બહાર નીકળ્યા બાદ થોડે દૂર સુધી કિશને એક્ટિવા ચલાવ્યું તો ત્યારબાદ સ્કૂટર સ્નેહલબાએ લઈ લીધું હતું. આટલું ઓછું હોય તેમ રસ્તામાં સ્કૂટર ઉભું રાખીને નંબરપ્લેટ પણ વાળી નાખી હતી.

રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં એવી વિગત પણ જાણવા મળી છે કે વૃદ્ધની હત્યા કર્યા બાદ લૂંટમાં મળેલા ઘરેણા સહિતની મત્તા થોડો સમય પોતાની પાસે જ રાખવાની અને જેવો મોકો મળે એટલે તેનું વેચાણ કર્યા બાદ કિશનના જામજોધપુર પાસે આવેલા ગામમાં જઈને છુપાઈ જવાનું હતું. મામલો થાળે પડી જાય એટલે બન્ને પ્રેમલગ્ન કરીને ત્યાં જ સ્થાયી થઈ જવાની તૈયારી પણ કરી લીધી હતી.

દરમિયાન ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયાની હાજરીમાં સ્ટાફ દ્વારા સ્નેહલબા અને કિશન વાઢેરને વૃદ્ધના ઘેર લઈ જવા ઉપરાંત સ્કૂટર પર કેવી રીતે ભાગ્યા તે સહિતનું રિ-ક્નસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.