ટ્રાફિકજામ હટાવવા ગયેલા હેડ કોન્સ્ટેબલ પર હુમલો: ભાજપના ખેસવાળી કારમાં આવેલા શખ્સ સહિત 3 લોકોએ ગળું દબાવ્યું, નાક ભાંગી નાખ્યું
સુરતમાં ટ્રાફિક જામ હટાવવા ગયેલા પોલીસ કમિશનરના પીએ પર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાનો એક હુમલાખોર ભાજપના ખેસવાળી કારમાંથી ઉતર્યા હોવાનું તથ્ય સામે આવ્યું છે.
સુરતમાં નાના વરાછા ઢાળ પાસે ટ્રાફિક જામ હટાવવા ગયેલા હેડ કોન્સ્ટેબલ અક્ષય આહીર પર ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં કોન્સ્ટેબલના નાકના ભાગે ફ્રેક્ચર થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુરત શહેરના નાના વરાછા ઢાળ પાસે ટ્રાવેલ્સ બસોના ગેરકાયદે પાર્કિંગને કારણે ટ્રાફિક જામ થયો હતો. ત્યાંથી પસાર થયેલા પોલીસ કમિશનરની કચેરીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અક્ષય આહીર ટ્રાફિક ક્લિયર કરવા ઉતર્યા હતા. અક્ષય આહીરે પોતાની પોલીસ ઓળખ આઈકાર્ડ બતાવી ટ્રાફિક હટાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો :ઇસ્લામાબાદમાં જુમ્માની નમાઝ દરમિયાન મસ્જિદમાં આત્મઘાતી હુમલો: 31 લોકોના મોત, 170 ઘાયલ, ઇમરજસી જાહેર
ટ્રાફિક હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે એક લક્ઝરી બસમાંથી ઉતરેલા બે લોકો અને એક કાર ચાલક માથાકૂટ પર ઉતરી આવ્યા હતા. બસમાંથી ઉતરેલા બે લોકોએ કોન્સ્ટેબલને પકડી રાખ્યા અને કાર ચાલકે અક્ષય આહીરનું ગળું પકડી પોતાની પાસે રહેલા પંચ જેવા હાર્ડ ઓબ્જેક્ટ વડે મોઢા અને નાકના ભાગે માર માર્યો હતો. બાદમાં હુમલાખોરોની કારમાંથી ભાજપનો ખેસ મળ્યો હતો, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
કારમાંથી ભાજપનો ખેસ મળ્યો એ કારના માલિકનું નામ દિવ્યેશકુમાર વલ્લભભાઈ કસલા અને કતારગામ વિસ્તારમાં આવેલા નારાયણ નગર સોસાયટીમાં રહેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસ કર્મચારી પર થયેલા આ હુમલાને લઈ પોલીસ વિભાગમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.કાપોદ્રા પોલીસ દ્વારા કાર કબ્જે લેવામાં આવી છે અને કાર ચાલક સહિત કુલ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હોવાનું જાણવા મળે છે.
