ગુજરાત ATS એ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા શંકાસ્પદોની કરી અટકાયત
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને હવે માત્ર 2 દિવસ જ બાકી છે. ત્યારે રાજ્યની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. આ વચ્ચે ગુજરાત ATS એ રથયાત્રા પહેલા મોટી સફળતા મેળવી છે. ATS એ સિદ્ધપુરથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હોવાની શંકાના આધારે 5 શંકાસ્પદોની અટકાયત કરી છે. હાલ તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.
સિદ્ધપુરમાં ATSનું સર્ચ ઓપરેશન
રાજ્યની શાંતિ અને સુરક્ષાને ખલેલ પહોંચાડવાના ઈરાદાથી કેટલાક સંગઠનો સક્રિય હોવાની ગુપ્ત માહિતી મળતા ATS એક્શનમાં આવ્યું. તપાસ દરમિયાન સિદ્ધપુર તાલુકાનો આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાના પુરાવા મળ્યા. જે બાદ ATS એ સ્થાનિક પોલીસ સાથે મળીને સર્ચ ઓપરેશન હાથ ધરીને 5 શંકાસ્પદોની અટકાયત કરી. વધુમાં બનાસકાંઠામાંથી પણ 2 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલે ફરી શરૂ કરી હવામાનની આગાહી
જૈશ સાથે કનેક્શનની તપાસ
અટકાયત કરાયેલા 5 શંકાસ્પદોનો સંબંધ જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠન સાથે છે કે અન્ય કોઈ સંગઠન સાથે, તે દિશામાં ATS દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. તેમના નેટવર્ક, ઇરાદા અને પાછળ કોણ છે તે જાણવા માટે કડક પૂછપરછ ચાલુ છે.
16 જુલાઈએ સમગ્ર રાજ્યમાં રથયાત્રા
16 જુલાઈના રોજ અમદાવાદ, ભાવનગર, વડોદરા, પાટણ અને રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. આવા સંવેદનશીલ તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.
11 દિવસ પહેલા પણ થઈ હતી ધરપકડ
આ પહેલા પણ 11 દિવસ પહેલા ATS એ મોટી કાર્યવાહી કરી હતી. જેમાં સિદ્ધપુરમાંથી 3, ચીખલીમાંથી 1 અને પાલનપુરમાંથી 3 મળીને કુલ 8 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. સતત મળી રહેલી સફળતાઓથી સ્પષ્ટ છે કે ATS રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરી તાકાતથી કામ કરી રહી છે.
રથયાત્રા જેવા વિશાળ લોકમેળાને સુરક્ષિત બનાવવા માટે ગુજરાત પોલીસ અને ATS દ્વારા સત સર્ચ અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. તંત્રનો ઉદ્દેશ એક જ છે કે ભક્તો શાંતિ અને સલામતી સાથે જગન્નાથજીના દર્શન કરી શકે. તપાસ પૂર્ણ થયા બાદ જ શંકાસ્પદોના આતંકી કનેક્શન અંગે વધુ વિગતો સામે આવશે.
