સ્ટેમ્પ ડ્યુટીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય, 10 એપ્રિલથી સ્ટેમ્પ ડ્યુટીની સુધારેલી જોગવાઇનો થશે અમલ
રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે ત્યારે સ્ટેમ્પ ડ્યુટી કાયદામાં કરવામાં આવેલા ફેરફાર આવતીકાલથી અમલી બનવા જઈ રહ્યા છે જેમાં મોર્ગેજ ડોક્યુમેન્ટમાં બેંકોની જવાબદારી નક્કી કરી ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના કિસ્સામાં દંડમાં પણ રાહત આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.
સ્ટેમ્પ ડયુટી કાયદાની નવી જોગવાઈ અન્વયે વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂા.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે. રૂ.1 કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.૫,૦૦૦ ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે. રૂ.10 કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત- હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ.8,00,000ની ડ્યુટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ.15,00,000 કરવામાં આવી છે. પરંતુ, એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ.75,00,000 સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. તેમજ વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.5,000ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.
આ ઉપરાંત ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે. તે જ રીતે, સ્ટેમ્પ ડ્યુટીની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક ૩ ટકાના દરે પરંતુ મહત્તમ 6 ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી છે. એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના 1%ની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક(રેસિડેન્સિયલ) માટે ફિક્સ રૂ.૫૦૦ અને વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂ.૧૦૦૦ ની ડ્યુટી ભરપાઇ કરવાની જોગવાઇ કરી છે. ગીરોખતના કિસ્સામાં જો બેંકો/નાણાંકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરાવવામાં નહિ આવે, તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરપાઇ કરવાની જવાબદારી બેંકો-નાણાંકીય સંસ્થાઓની રહેશે.
ઉપરાંત, અસલ લેખ (ઓરિજિનલ ડોક્યુમેન્ટ)ની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઇ પણ આ એક્ટમાં કરવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઇઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે. તેમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યુટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે. આના જોગવાઈઓથી ઉધોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો છે. વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.