- મોરબીમાં અને પડધરીમાં વધુ એક એક શંકાસ્પદ કેસ : અમૃતા, ક્રિસ્ટલ અને સિવિલમાં સારવાર
રાજકોટ : સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી રહેલા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ પાંચ બાળકોના રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા બાદ વધુ નવા પાંચ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જેમાં રાજકોટ શહેરમાં બે, મોરબીમાં એક, પડધરીના એક તેમજ એક સુરેન્દ્રનગર જિલ્લાના એક બાળકમાં ચાંદીપુરા વાયરસની શંકાસ્પદ અસર જણાતા તમામના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. રાજકોટમાં હાલમાં સિવિલ હોસ્પિટલમાં 2 અને અન્ય બે ખાનગી હોસ્પિટલમાં કુલ પાંચ બાળકો સારવાર હેઠળ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ચાંદીપુરા વાયરસે સમગ્ર ગુજરાતમાં અજગરી ભરડો લીધો હોય તેવી સ્થિતિ વચ્ચે રોજેરોજ નવા નવા કેસો સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટ અને મોરબી જિલ્લામાં સારવાર હેઠળ રહેલા પાંચ બાળકોના મૃત્યુ નિપજ્યા બાદ વધુ પાંચ કેસ સામે આવતા હાલમાં રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓની સારવાર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. વધુમાં નવા આવેલા પાંચ કેસમાં સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના એક -એક તેમજ રાજકોટના પડધરી તાલુકાના એક બાળદર્દીનો સમાવેશ થાય છે.
બીજી તરફ અત્યાર સુધી માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ દેખાતા ચાંદીપુરા વાયરસના રોગચાળાએ રાજકોટમાં એન્ટ્રી કરી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે, રાજકોટ શહેર વિસ્તારમાં જોવા મળેલા ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસમાં હાલમાં શહેરના રૈયા ચોકડી નજીક આવેલ અમૃતા હોસ્પિટલમાં તેમજ ક્રિસ્ટલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગર જિલ્લાના એક બાળકને સારવારમાં રાખવામાં આવ્યો છે અને અન્ય બે બાળકોની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આ તમામ બાળકોના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.