ગંદકીનું ઘર બનેલા શાસ્ત્રીમેદાનને વિકસાવવા પ્રયાસો તેજ : એમ્ફી થિયેટર, બગીચો બનાવવાનો પ્રોજેક્ટ સરકારમાં ફસાયો
રાજકોટ શહેરની મધ્યમાં આવેલ શાસ્ત્રીમેદાન હાલમાં રેઢું પડ જેવી હાલતમાં છે અને છાસવારે અહીંથી કમ્પાઉંન્ડ વોલની ગ્રીલ ચોરાઈ જવી, ગંદકી થવી, બિલ્ડીંગ મટિરિયલનો કાટમાળનો ખડકલો થવો સહિતની ફરિયાદોનો મારો ચાલ્યો છે ત્યારે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા શાસ્ત્રીમેદાનમાં એમ્ફી થિયેટર, સિનિયર સીટીઝન પાર્ક, યોગા સેન્ટર, સાંસ્કુતિક પ્રવૃત્તિ મેળા સહિતના આયોજન માટે 11 કોમર્શિયલ પ્લોટમાં વિભાજીત કરી વિશાળ શાસ્ત્રીમેદાનનો લોકો માટે લોકો થકી ઉપયોગ થાય તે માટે રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગને મેદાન સોંપી સુવિધા વિકસાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હોવાનું સામે આવ્યું છે. જો કે, જિલ્લા કલેકટર દ્વારા બે વર્ષ પહેલા ડિઝાઇન સહિતની વિગતો મોકલી આપવા છતાં ગાંધીનગરથી આ બાબતે નિર્ણય લેવાતો ન હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરની મધ્યમાં લીંબડા ચોક પાસે આવેલ શાસ્ત્રી મેદાન હાલમાં ખાનગી ટ્રાવેલ્સોનો પાર્કિંગનો અડ્ડો બનવાની સાથે જ અહીં શહેરભરમાંથી વેસ્ટ બિલ્ડીંગ મટીરીયલ અને કોર્પોરેશનના વાહનો કચરો ઠાલવી જતા હોવાથી મેદાનની હાલત દયનિય બની છે. બીજી તરફ ચોમાસામાં અહીં પાણી ભરાઈ જતા ગંદકી થતી હોવાની સાથે વર્ષે દહાડે લાખો રૂપિયા સિક્યુરિટી પાછળ ખર્ચ કરવા છતાં સમયાંતરે શાસ્ત્રીમેદાનના દરવાજા તૂટી જવાની સાથે અહીંની કમ્પાઉન્ડ વોલમાંથી ગ્રીલની ચોરી થવાની ફરિયાદ પણ ભૂતકાળમાં થવા પામી છે.જો કે, જિલ્લા કલેકટર હસ્તકના આ કિંમતી મેદાનની જમીનનો સદ્દપયોગ કરવા માટે અંદાજે બે વર્ષ પહેલા રાજ્ય સરકારમાં એક દરખાસ્ત કરવાંમાં આવી છે,જેમાં શાસ્ત્રીમેદાન રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગને સોંપી અહીં સિનિયર સીટીઝન પાર્ક, બગીચો યોગા સેન્ટર, સાંસ્કુતિક પ્રવૃત્તિ, મેળા સહિતના આયોજન થઇ શકે તે રીતે ડેવલોપ કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશાળ શાસ્ત્રીમેદાનમાં સિનિયર સીટીઝન પાર્ક, બગીચો, યોગા સેન્ટર સહિતની જગ્યાઓ ઉપરાંત અહીં સાંસ્કુતિક પ્રવૃત્તિ, મેળા સહિતના આયોજન કરી શકાય તે માટે અહીં વિશાલ 11 કોમર્શિયલ પ્લોટની ડિઝાઇન બનવવામાં આવી છે. આ ડિઝાઇન મુજબ સાંસ્કૃતિક આયોજન, હસ્તકલા મેળા તેમજ અન્ય પ્રવૃત્તિ માટે શાસ્ત્રીમેદાન ભાડે આપવા માટે અહીં પ્રોફેશનલ આર્કિટેક્ટ અથવા સંસ્થા પાસે નવીનીકરણ પ્રોજેક્ટ અમલી બનાવી બાદમાં સમગ્ર સંચાલન રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગને સોંપવા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ‘આપ’ વિસાવદરમાં વધુ એક વખત વિજયી કેમ થયું, કેજરીવાલ-ઇટાલીયાનો આક્રમક પ્રચાર ભાજપને પડ્યો ભારે?
જો કે, સમગ્ર શાસ્ત્રીમેદાનનું ડેવલોપમેન્ટ અને સંચાલન અન્ય વિભાગેને આપ્યા બાદ પણ માલિકી અને અંતિમ નિર્ણયની સતા જિલ્લા કલેકટર હસ્તક જ રાખવા તેમજ જરૂર પડ્યે પીજીવીસીએલ અને માર્ગ અને મકાન વિભાગની મદદ લેવા પણ દરખાસ્તમાં સૂચવવામાં આવ્યું છે. આ સંજોગોમાં નવા જિલ્લા કલેકટર શાસ્ત્રીમેદાનના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને હાથ પર લે તો શહેરીજનોને શહેરની વચ્ચોવચ એક નવા બેનૂમન પ્રોજકેટની ભેટ મળી શકે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.