- રાજકોટના ડૉ.રાજ ઘોણીયાએ દવાનો ઓવરડોઝ લઈને કર્યો આપઘાત
- એઈમ્સ-દિલ્હીમાં ટ્રોમા સેન્ટરમાં નોકરી કરતાં હતા અને છ મહિના પહેલાં જ ન્યુરોસર્જરીનો અભ્યાસ પૂરો કર્યો’તો
- પત્ની ડૉ.રીના રક્ષાબંધન હોવાથી રાજકોટ આવી અને પાછળથી ડૉ.રાજે પગલું ભરી લીધું
- સ્યુસાઈડ નોટમાં કોઈને દોષ ન દીધો: મૃતદેહના રાજકોટમાં અંતિમ સંસ્કાર
વોઈસ ઓફ ડે, રાજકોટ
દિલ્હી ખાતે એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં નોકરી કરતા અને તાજેતરમાં જ ન્યુરો સર્જરીનો અભ્યાસ પૂરો કરનાર રાજકોટના ડૉ.રાજ ઘોણીયાએ તબીબ પત્નીની ગેરહાજરીમાં દવાનો ઓવરડોઝ લઈને આપઘાત કરી લેતાં ભારે ચકચાર જાગી છે. એકંદરે રાજકોટના તબીબે દિલ્હીમાં આપઘાત કરી લેતાં દિલ્હી એઈમ્સથી લઈ રાજકોટ સુધી શોકની કાલીમા વ્યાપી જવા પામી છે. આમ તો આપઘાતનું સત્તાવાર કારણ બહાર આવ્યું નથી અને પોલીસ એ જાણવા માટે તપાસ કરી રહી છે પરંતુ પ્રારંભીક રીતે ડૉ.રાજે પત્ની સાથે વારંવાર થઈ રહેલા ઝગડાથી કંટાળીને પગલું ભરી લીધાનું કારણ બહાર આવી રહ્યું છે.
શહેરના રાજનગર ચોકમાં આવેલી ત્રિપદા સોસાયટીમાં રહેતા અને છેલ્લા નવેક વર્ષથી દિલ્હીમાં રહીને ડૉક્ટર તરીકે કાર્યરત ડૉ.રાજ મનસુખભાઈ ઘોણિયા (ઉ.વ.૩૪) દિલ્હીમાં ગૌતમનગર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં બેભાન હાલતમાં મળી આવતાં પોલીસે દોડી જઈ તાત્કાલિક તેમને એઈમ્સ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી પોલીસને સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી જેને પણ કબજે લેવામાં આવી હતી.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ડૉ.રાજના લગ્ન રાજકોટના જ ડૉ.રજની ઉર્ફે રીના સાથે થયા હતા. ડૉ.રજની પણ દિલ્હીની ગંગારામ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં ડૉક્ટર તરીકે કાર્યરત હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસની પ્રારંભીક તપાસમાં યુગલ વચ્ચે ઝગડો ચાલી રહ્યો હોય તેનાથી કંટાળીને જ ડૉ.રાજે આ પગલું ભરી લીધું હોય શકે છે.
પોલીસે એમ પણ જણાવ્યું કે ડૉ.રાજ પાસેથી દવાની શીશીઓ અને ઈન્જેક્શન મળી આવ્યા હતા જેના થકી જ ડૉ.રાજે દવાનો ઓવરડોઝ લઈને મોત મીઠું કરી લીધું હોઈ શકે છે. જો કે તેમના મોતનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ડૉ.રાજના પત્ની રજની રક્ષાબંધન તેમજ ભાભીના સીમંત પ્રસંગમાં હાજરી આપવા માટે ૧૩ ઑગસ્ટે દિલ્હીથી રાજકોટ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્યુસાઈડ નોટમાં શું લખ્યું છે ?
ડૉ.રાજે આપઘાત કરતાં ફ્લેટમાં એક સ્યુસાઈડ નોટ ચોંટાડી હતી જેમાં તેમણે એવું લખ્યું હતું કે તેઓ પોતાની મરજીથી આ પગલું ભરી રહ્યા છે એટલા માટે કોઈને દોષિત ઠેરવવા જોઈએ નહીં અને તેમની ઈચ્છાનું માન રાખીને કોઈને હેરાન કરવામાં આવે નહીં. આ પગલાં પાછળ કોઈનો વાંક નથી અને હું આ માટે કોઈને દોષ પણ આપી રહ્યો નથી.
હું હવે ગુજરાતમાં જ રહીશ, દિલ્હી નહીં આવું એવું કહેતાં જ વિવાદ થયો હોવાનું તારણ
ડીસીપી સાઉથ દિલ્હીના જણાવ્યા પ્રમાણે ડૉ.રાજ અને ડૉ.રજનીના લગ્નને સાત વર્ષ થયા છે પરંતુ ક્યારેય યુગલ વચ્ચે ઝઘડો થયો હોવાની ફરિયાદ નોંધાઈ નથી. જો કે તાજેતરમાં જ બન્ને વચ્ચે દિલ્હીમાં રહેવાને લઈને માથાકૂટ થયાનું પ્રારંભીક રીતે જાણવા મળી રહ્યું છે. ડૉ.રજની દ્વારા ડૉ.રાજને તે હવે દિલ્હી નહીં આવે અને ગુજરાતમાં જ રહેશે તેવું કહેતાં વિવાદ વકર્યો હોવાનું લાગી રહ્યું છે. જો કે આ માટે ડૉ.રજનીની પૂછપરછ કર્યા બાદ વધુ વિગતો જાહેર કરાશે.
૧૫ દિ’ પહેલાં જ યુએસથી અભ્યાસ પૂર્ણ કરી દિલ્હી આવ્યા’તા
તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે ડૉ.રાજ ઘોણીયા ૧૫ દિવસ પૂર્વે જ અમેરિકાથી પ્રેક્ટિસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા હતા. એઈમ્સમાં ન્યુરો સર્જન તરીકે કાર્યરત થયા બાદ તેઓ નિયમિત રીતે ફરજ પર હાજર રહેતા હતા અને તેમના હાવભાવ પરથી કોઈ કહી શકતું ન હતું કે તેઓ આ પ્રકારનું પગલું ભરી લેશે.
ડૉ.રાજના પિતા દૂરદર્શનના કર્મચારી
ડૉ.રાજના પિતા મનસુખભાઈ ઘોણિયા દૂરદર્શનના કર્મચારી હોવાનું જાણવા મળી રહ્યું છે. પુત્રના મોતના સમાચાર સાંભળી તેઓ પણ હતપ્રભ થઈ ગયા હતા. બીજી બાજુ ડૉ.રાજનો મૃતદેહ દિલ્હીથી રાજકોટ લાવવામાં આવ્યો હતો અને રાજકોટમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.