- 450 તબીબો દર્દીઓની ટીમ સારવાર માટે ખડેપગે : 100 એક્સ્ટ્રા બેડ મુકાયા : તહેવારના 23 વિભાગની OPD ચાલુ રહેશે
વોઇસ ઓફ ડે રાજકોટ
દિવાળીના તહેવારની ઉજવણી લોકો મીઠાઇ-ફરસાણ અને બહાર હોટલમાં જમી પરિવાર સાથે કરતાં હોય છે. પણ મોજ-મસ્તીના આ તહેવારમાં લોકોને હંમેશાં એક વાતની ચિંતા સતાવતી હોય છે અને તે છે કે જો તહેવારમાં બીમાર પડ્યા તો ક્યાં જઇશું. પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.ખાનગી હોસ્પિટલમાં ભલે રજા પડી હોય પંરતુ સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધા નિયત ક્રમ મુજબ ચાલુ રહેવાની છે.જેથી લોકો સમયસર સારવાર મેળવી શકશે.
આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના નાયબ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. હેતલ ક્યાડાએ વિગત આપતા જણાવ્યું હતું કે, દિવાળીને અનુલક્ષીને ગુરુવારથી 4 દિવસની રજા છે. જેમાં 31 ઓક્ટોબરના ગુરુવારે દિવાળી છે. જ્યારે શુક્રવારે સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ એ રજા માત્ર એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ માટે છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે તબીબો ગુરુવાર, શુક્રવાર અને શનિવાર એમ ત્રણ દિવસ કાર્યરત રહેશે. એટલે કે, 23 વિભાગની OPD ચાલુ રહેશે.હાલના દિવસે સિવિલ હોસ્પિટલમાં જે સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે તે જ સ્ટાફ દિવાળીના ચાર દિવસો દરમિયાન કાર્યરત રહેશે. જ્યારે ભાઈબીજના દિવસે ઓપીડી બંધ હશે. પરંતુ પૂરો દિવસ ઈમર્જન્સીમાં 160 તબીબોનો સ્ટાફ ફરજ બજાવશે. દરરોજ OPD અને ઈમર્જન્સી મળી કુલ 2000થી વધુ દર્દીઓ આવે છે. પરંતુ દિવાળીના દિવસો દરમિયાન સરકારી હોસ્પિટલમાં ઇન્ડોરમાં આવતા દર્દીઓની સંખ્યામાં 30 ટકા જેટલો વધારો થાય છે.
વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તહેવાર પર 450, ભાઈબીજના માત્ર ઈમર્જન્સીમાં 160 તબીબો ખડેપગે રહેશે. ICU સાથેની 43 જેટલી 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ તહેનાત રાખવામાં આવશે. તહેવારોમાં ખાનગી હોસ્પિટલના તબીબો રજા પર જતા સિવિલમાં ઇન્ડોર દર્દીઓની સંખ્યામાં 30 ટકાનો વધારો થશે.તેમજ દર વર્ષે દિવાળીના પર્વમાં દર્દીઓના ધસારાને ધ્યાનમાં રાખીને 100 એક્સ્ટ્રા બેડ રાખવામાં આવેલા છે. જેમાં **PMSSY બિલ્ડિંગમાં 40 તો વોર્ડ નંબર 10માં એક્સ્ટ્રા 60 બેડનો વધારાનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ઇમર્જન્સીમાં 37 સહિત કુલ 1658 બેડ છે. લોકો 0281 2471118 પર કોલ કરી ઓપીડીની માહિતી મેળવી શકે છે.