અમદાવાદ વિમાન દુર્ઘટના કે ષડયંત્ર? AAIB દ્વારા એર ઇન્ડિયાના બ્લેક બોક્સની દિલ્હીની લેબમાં તપાસ
અમદાવાદ વિમાની દુર્ઘટનામાં હાલમાં કારણોની તપાસ થઇ રહી છે ત્યારે કેન્દ્રના નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું છે કે, આ અકસ્માતને લઈને ષડયંત્રના એન્ગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, 12 જૂનના રોજ ક્રેશ થયેલા એર ઇન્ડિયા બોઇંગ 787-8ના બ્લેક બોક્સની તપાસ એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) કરી રહ્યું છે, જેમાં “ષડ્યંત્ર”નો પણ સમાવેશ થાય છે. દિલ્હીની નવી અત્યાધુનિક લેબમાં બ્લેક બોક્સમાંથી ડેટા કાઢીને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના હતી. AAIB એ તેની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે… એર ઈન્ડિયાનું ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ AIB પાસે છે, તેની તપાસ માટે તેને વિદેશ નથી મોકલવામાં આવ્યું. એઆઇબી આ અકસ્માતના અલગ-અલગ એન્ગલની તપાસ કરી રહી છે કે ક્યાંક આ અકસ્માત જાણી જોઈને કરવામાં આવેલી ગડબડ તો નથી ને? હાલ, તપાસ એજન્સી સીસીટીવી કેમેરાની ફૂટેજ ચેક કરી રહી છે કે, ક્યાંક પ્લેન ટેક ઑફ કરે તે પહેલાં તો કંઈ તોડફોડ કરવામાં નથી આવી ને? આ અકસ્માતને લઈને અનેક એજન્સીઓ એકસાથે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : દેશમાં ચોમાસુ અનરાધાર : યમુનોત્રીના રસ્તે વાદળ ફાટ્યા બાદ તબાહી, બે લોકોના મોત, ઉત્તરાખંડમાં રેડ એલર્ટ
તેમણે કહ્યું કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પછી તરત જ મુસાફરોમાં હવાઈ મુસાફરી અંગે શંકા ઉભી થવી સ્વાભાવિક છે. “પણ હું તમને જણાવી દઉં કે… DGCAના આદેશ પર બધા 33 ડ્રીમલાઇનર્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. બધું સુરક્ષિત જણાયું છે. તેથી જ મેં કહ્યું કે તે એક દુર્લભ અકસ્માત હતો. લોકો હવે ડરતા નથી અને આરામથી મુસાફરી કરી રહ્યા છે.