અમદાવાદમાં ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર ઉપર CBI ત્રાટકી : ૩૦૦થી વધુ કર્મચારીઓએ 35 સ્થળે તપાસ કરી, સાયબર ફ્રોડ અટકાવવા પગલું
અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા કોલ સેન્ટર ઉપર આજે સવારથી સીબીઆઈએ દરોડા પાડયા છે. કૉલ સેન્ટર્સના માધ્યમથી લોભામણી લાલચો આપી જનતાને લૂંટતા સાઈબર ફ્રોડનો કહેર ગુજરાતમાં દિવસે દિવસે વધતો જાય છે ત્યારે આ કાર્યવાહી મહત્વની બની રહે છે.
ગુજરાતમાં સતત સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે, ત્યારે શહેરમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સીબીઆઇની 350થી વધુ લોકોની ટીમે મોટી રેડ પાડી છે. જેમાં શહેરમાં ગેરકાયદે ચાલતા 35થી વધુ કોલ સેન્ટરો પર ત્રાટકી દરોડા પાડયા છે. જેના લીધે સાયબર ફ્રોડની ટુકડીમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.
સીબીઆઈ વિશાખાપટ્ટનમ, કોલકાતા, હૈદરાબાદ જેવા શહેરોમાં દરોડા પાડી ચૂકી હતી.જ્યાંથી અમદાવાદ સાથેની લિંક મળતાં 350 જેટલાં સીબીઆઈના અધિકારીઓની ટીમે ગેરકાયદે રીતે ચાલતા કોલ સેન્ટરો પર તવાઈ બોલાવી હતી.
ઉલ્લેખનીય છે કે એવા અનેક ગેરકાયદે કોલ સેન્ટર અમદાવાદમાં સંચાલિત છે જ્યાંથી અમેરિકા જેવા દેશોમાં કોલ કરીને લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે લોકોને ડરાવી-ધમકાવી કે ફસાવીને ઉઘરાણી કરવામાં આવે છે. તેમને લોન ઓફર કરીને તેમની પાસેથી પૈસા ઉઘરાવી લેવાતા હતા. જેની ઘણી ફરિયાદો મળી હતી. ડોલરમાં આવક મેળવનારા આવા કોલ સેન્ટર માલિકોની તંત્ર કે પોલીસ સાથે સાંઠગાંઠ હોય તેવું પણ બની શકે છે. જોકે સીબીઆઈના દરોડામાં આવા લોકો પર તવાઈ બોલાવી દેવાઇ છે. આખી રાત દરમિયાન રેડની કાર્યવાહી કરવામાં આવી હતી. કારણ કે આવા કોલ સેન્ટર ખાસ કરીને રાતે જ ધમધમતા હોય છે.