લગ્ન નોંધણીમાં મોટો ફેરફાર: અરજી કરતાં જ માતા-પિતાને ફરજિયાત જાણ, 40માં દિવસે જ મળશે મેરેજ સર્ટિફિકેટ, સરકાર લાવી રહી છે કડક નિયમો
લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન સરકારે જાહેરાત કરી કે ‘ગુજરાત Registration of Marriages Rules’ હેઠળ કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી છે. હવે લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.આ માટે નવા પ્રસ્તાવિત નિયમો અંગે જાહેરમાંથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવશે. પ્રાપ્ત થયેલા અભિપ્રાયો પર ચર્ચા કર્યા પછી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
વાંધા-સૂચનો મંગાવવામાં આવશે
ગુજરાત વિધાનસભામાં નિયમ 44 હેઠળ જાહેર અગત્યના મુદ્દા તરીકે આ નિવેદન આપવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખી ગુજરાત Registration of Marriages Rulesમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. સૂચિત સુધારાઓ અંગે જાહેરમાંથી વાંધા-સૂચનો મંગાવવામાં આવશે અને ત્યારબાદ અંતિમ નિયમો અમલમાં મુકવામાં આવશે, જેથી લગ્ન નોંધણી પ્રક્રિયા વધુ પારદર્શક અને સુગમ બને.
ગુજરાત વિધાનસભાના ગૃહમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિયમ 44 હેઠળ એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ બાબત પર નિવેદન આપ્યું હતું. રાજ્યમાં દીકરીઓની સુરક્ષા અને સામાજિક માળખાને જાળવી રાખવા માટે સરકાર ‘ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ 2006’ના નિયમોમાં રહેલી લગ્ન નોંધણી પ્રક્રિયામાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા અંતર્ગત હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાને સામેલ કરવામાં આવ્યા છે.
લગ્ન નોંધણીમાં ‘છળકપટ’ રોકવા લાવવામાં આવેલા આ સુધારાઓ અંગે નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં વેદના સાથે જણાવ્યું હતું કે, રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં કેટલીક છટકબારીને કારણે ગેરઉપયોગ થઈ રહ્યો છે. અસામાજિક તત્વો પોતાની સાચી ઓળખ છુપાવી, લાલચ આપી કે છળકપટથી રાજ્યની દીકરીઓને પ્રેમની જાળમાં ફસાવે છે. પંચમહાલ જિલ્લામાં અનેક બોગસ લગ્નો નોંધાયા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પંચમહાલના કંકોડાકોઈ અને નાથકુવા જેવા ગામોમાં, જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર નથી, ત્યાં તલાટી-કમ-મંત્રી દ્વારા સેંકડો ‘નિકાહ’ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવ્યા છે, જે ઊંડાણપૂર્વક તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.
નવા સૂચિત નિયમોની મુખ્ય વિશેષતાઓ અંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દીકરીઓના સુરક્ષા કવચ સમાન જે ફેરફારો લાવી રહી છે તેમાં મુખ્યત્વે માતા-પિતાની સામેલગીરી છે. લગ્નની નોંધણી વખતે હવે માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે માટે એક અલગથી પોર્ટલ પણ બનાવવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નવા નિયમો અંગે રાજ્યના નાગરિકો પાસેથી ૩૦ દિવસ સુધી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. એક કમિટીની રચના કરવામાં આવશે જે બંધારણીય મર્યાદામાં રહીને યોગ્ય સૂચનો ધ્યાને લઈ તેનો અમલ કરવામાં આવશે.
લવ-મેરેજનો વિરોધ નથી, ‘છેતરપિંડી’-‘બળજબરી’ સામે ચોક્કસપણે સખત પગલા લેશે
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દીકરી જ્યારે જન્મે છે ત્યારે પિતાના આંગણામાં તુલસીનો ક્યારો બનીને ઉછરે છે. લવ-મેરેજનો વિરોધ નથી, પણ ‘છેતરપિંડી’ અને ‘બળજબરી’ સામે આ સરકાર ચોક્કસપણે સખત પગલા લેશે. આ સરકાર દરેક દીકરીના સન્માનની અને આપણી સનાતન પરંપરાની રક્ષક છે.
હર્ષ સંઘવીએ ‘લવ જેહાદ’ અંગે ચિંતા વ્યક્ત કરી
હર્ષ સંઘવીએ ‘લવ જેહાદ’ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ઓળખ છુપાવીને થતા લગ્નો એ આપણી સંસ્કૃતિ પરનું આક્રમણ છે. સનાતન પરંપરા અને ભારતની લગ્ન વ્યવસ્થાને બચાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર કટિબદ્ધ છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, “કોઈ સલીમ સુરેશ બનીને રાજ્યની દીકરીને ફસાવશે તો આ સરકાર એવા હાલ કરશે કે તે ભવિષ્યમાં કોઈ દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહીં કરે.”
રાજ્યની અનેક સામાજિક સંસ્થાઓ સાથે છેલ્લા ત્રણ મહિનામાં કાયદા અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ પણ ૩૦ જેટલી બેઠકો યોજીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુચિત નવી લગ્ન નોંધણી પધ્ધતિ
સ્ટેપ-1: લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઇવિંગ લાઇસંસ, પાસપોર્ટ, ફોટો ઓળખ પત્ર આપવાના રહેશે.
સ્ટેપ-2[A]: સરકારશ્રી દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે હુકુમત ધરાવતા આસિસ્ટંટ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો-1 (આઇ) મુજબ વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે.
વર-વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ
- વર-વધુએ જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડયાનું પ્રમાણપત્ર.
- લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા.
- વર-વધૂના અલગ અલગ રીતે બે પાસપોર્ટ સાઇઝના ફોટો.
- વર-વધુનો લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ.
- સાક્ષીઓના તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા.
- અરજી સાથે વર-વધુએ તેમના માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે કે કેમ તે અંગેનું ડિક્લેરેશન.
સ્ટેપ-2[B]: વર-વધુએ માતા-પિતાના નીચે દર્શાવેલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
1. માતા/પિતાનું આધાર કાર્ડ.
2. પિતાનું પૂરુ નામ.
3. પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.
4. પિતાનો મોબાઈલ નંબર.
5. માતાનું પૂરુ નામ.
6. માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે.
7. માતાના મોબાઈલ નંબર.
સ્ટેપ-3[A]: આસિસ્ટંટ રજિસ્ટ્રારને ખાતરી/સંતોષ થયેથી દસ કામકાજના દિવસોમાં વ્યવહારુ શક્ય બને તે રીતે વર-વધુના માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેકટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારુ રીતે કરવામાં આવશે. (સરકારે નક્કી કરેલા માધ્યમો દ્વારા)
સ્ટેપ-3[B]: આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી મળ્યાથી તે સબંધિત જીલ્લા કે તાલુકાના રજિસ્ટ્રારને મોકલી આપશે. રજીસ્ટારશ્રીને ખાતરી થયેથી પેટા નિયમો (1 થી 7) માં દર્શાવ્યા મુજબની પુર્તતા થયા બાદ 30 દિવસ પુર્ણ થયેથી લગ્ન નોંધણી કરવામાં આવશે.
સ્ટેપ-4: રજિસ્ટ્રારશ્રી દ્વારા આ તમામ વિગતો સરકારશ્રી દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઇન પોર્ટલ ઉપર મુકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પુર્ણ થયેથી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ-2 મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે કે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે.
