આડકતરી રાહત : મોર્ગેજ ડોક્યુમેન્ટની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જવાબદારી બેન્કોની
ગુજરાત સ્ટેમ્પ(સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભામાં પસાર કરાયું
ઘરના ઘરનું સ્વપ્ન જોતાં મધ્યમ વર્ગને હાઉસિંગ લોનમાં અને નાના ઉદ્યોગકારોને પોતાના ઉદ્યોગો સ્થાપવા માટે લોન મેળવવામાં ફાયદો થશે.
રાજ્યના નાગરિકોની મિલકતોના હક્કોનું રક્ષણ, સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકાવવા તથા સરકાર દ્વારા વસૂલવા પાત્ર થતી સ્ટેમ્પ ડયૂટીની યોગ્ય વસૂલાત માટેના ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮માં સમયોચિત સુધારાઓ કરવા માટેનો ગુજરાત સ્ટેમ્પ(સુધારા) વિધેયક-૨૦૨૫ વિધાનસભા ગૃહમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે રજૂ કરી અનેક ફેરફારો સુધારા કરાયા છે જે અંતર્ગત હવેથી મોર્ગેજ ડોક્યુમેન્ટની સ્ટેમ્પ ડ્યુટી બેંકોને ભરપાઇ કરવી પડશે.
સુધારા વિધેયકના મહત્ત્વના મુદ્દાઓ વિશે જણાવતા રાજયમંત્રી રાજપૂતે કહ્યું કે આર્ટિકલ ૪૯ (ક)માં થનારા સુધારા બાદ હવે વારસાગત/વડિલોપાર્જિત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક્ક કમીના લેખ ઉપર હાલમાં લેવાતી ૪.૯૦ ટકા ડયૂટીના બદલે ફક્ત ર૦૦ રૂપિયાના સ્ટેમ્પ ઉપર હક્ક કમી થઇ શકશે. જેનાથી પારિવારિક મિલકતોમાં હક્ક કમીના લેખો પર સ્ટેમ્પ ડયૂટી ભરવામાંથી મુક્તિ મળશે અને સમગ્ર પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે.આ જ પ્રકારે, આર્ટિકલ ૬(૧)માં સુધારો થતાં લોનના સંબંધે ગીરો લેખ માટેની ડ્યુટીમાં ૮૦ ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. પરિણામે, હવે રૂ. ૧ કરોડ સુધીની લોન મેળવવા માટે ૦.ર૫ ટકા લેખે ભરવાના થતાં રૂ. ૨૫૦૦૦ની ડ્યુટી ઘટીને વધુમાં વધુ રૂ. ૫૦૦૦ કરવાની જોગવાઈ આ બિલ દ્વારા કરવામાં આવી છે. આ જોગવાઇથી ઘરના ઘરનું સ્વપ્ન જોતાં મધ્યમ વર્ગને હાઉસિંગ લોનમાં અને નાના ઉદ્યોગકારોને પોતાના ઉદ્યોગો સ્થાપવા માટે લોન મેળવવામાં ફાયદો થશે.
વધુમાં ગીરોમુક્તિ લેખ તથા ભાડાપટ્ટા લેખ કરવા માટે સબ રજિસ્ટ્રાર કચેરી સુધી જવાના બદલે ઘરેબેઠાં ઇ-રજિસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવા અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે અગાઉ નાગરિકોને ગીરો ખત, ભાડા કરાર ખત માટે સબ-રજિસ્ટ્રાર કચેરીએ જવું પડતું હતું, પરંતુ તેમનાં સમય અને શક્તિનો બચાવ થાય, તે માટે ઈ-રજિસ્ટ્રેશન સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. કાયદામાં કોણે સ્ટેમ્પ ડયૂટી ભરવી તે અંગે સ્પષ્ટ જોગવાઇ હોવા છતાં, કેટલીક ખાનગી નાણાકીય સંસ્થાઓ કે બેંકો દ્વારા કોણ સ્ટેમ્પ ડ્યુટી ભરશે એવા ઉલ્લેખ વિનાના દસ્તાવેજો કરવામાં આવતાં હતા. આવા દસ્તાવેજો ઉપર યોગ્ય સ્ટેમ્પ ડયૂટી ભરપાઇ કર્યા સિવાય ધિરાણ કરવું તથા આવા દસ્તાવેજો તપાસણી માટે રજૂ ન કરવાની ઘટનાઓ બનતી હતી. જેની સામે નવી કલમ ૩૦(ક) ઉમેરીને મોર્ગેજના લેખ ઉપર ડ્યૂટી ભરપાઈ કરવાની બેંકોની જવાબદારી નક્કી કરવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. જેનાથી સામાન્ય માણસને લાભ થશે અને બેંકો દ્વારા લોન આપતી વખતે જ યોગ્ય સ્ટેમ્પ ડયૂટી ભરપાઇ કરવામાં આવશે.
વધુમાં, કલમ-૧૭ હેઠળ ટ્રિબ્યુનલ કે સક્ષમ સત્તાના હુકમ થયા પછી ૩૦ દિવસમાં સ્ટેમ્પ ડયૂટી ભરવાની જોગવાઈને વધારીને ૬૦ દિવસ કરવામાં આવી છે. આ જ રીતે, કલમ-૩રમાં પણ લેખ નોંધણી બાદ ૩૦ દિવસમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની મર્યાદા વધારીને ૬૦ દિવસની જોગવાઈ કરવામાં આવતાં નાગરિકોને સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે વધુ સમય મળશે તેમ શ્રી રાજપૂતે જણાવ્યું હતું.આ અધિનિયમમાં ક્રાંતિકારી સુધારો ગણાવતાં રાજ્યમંત્રીએ કહ્યું કે કલમ-૩૯ (૧)(ખ) મુજબ હાલમાં ઓછી સ્ટેમ્પ ડયૂટી ભરાયેલી હોય અથવા તો સ્ટેમ્પ ડયૂટીની ચોરીના કિસ્સામાં ઓછામાં ઓછા પાંચ રૂપિયા અને વધુમાં વધુ ખૂટતી ડયૂટીના દસ ગણા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ છે. જેના કારણે હુકમોમાં એકસૂત્રતા ન જળવાતી હોવાના અને આ જોગવાઇનો દૂરુપયોગ થવાની શક્યતા રહેતી હતી.
જેના સ્થાને હવે આ પ્રકારના કિસ્સામાં જો અરજદાર સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા તૈયાર થાય, તો ખૂટતી સ્ટેમ્પ ડયૂટીના બે ટકા લેખે વધુમાં વધુ ચાર ગણા સુધી અને જો તંત્ર દ્વારા નોટિસ મળ્યા બાદ ડયૂટી ભરવા આવે, તો ખૂટતી ડયૂટીના ત્રણ ટકા લેખે વધુમાં વધુ ૬ ગણા સુધી વસૂલવાની જોગવાઇ કરવામાં આવી છે.
આ જ પ્રકારે, જો અધિકારી દ્વારા નોટીસ મળ્યા બાદ અરજદાર ભરે તો રૂ.૨ લાખ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના પ્રતિ માસ ૩ ટકા લેખે વધુમાં વધુ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના ૬ ગણા એટલે કે રૂ.૧૨ લાખ દંડ થઇ શકશે. આમ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી પર દંડની મર્યાદા નક્કી કરવાથી નિર્ણયોમાં એકસૂત્રતા આવશે અને પ્રજાને હાલાકી ઓછી પડશે તેમ તેમણે જણાવ્યું હતું.
સાથે જ કંપની માલિકી ફેરખતની વ્યાખ્યાનો વ્યાપ વધારી તેમાં કંપનીઓના એકત્રીકરણ, શેર ટ્રાન્સફરથી થતી તબદિલી તથા વિવિધ ટ્રિબ્યુનલ કે સક્ષમ સત્તાના હુકમોથી થતી તબદિલીને પણ કલમ-૨ (જ) અને ૨ (જ) (છ)થી માલિકી ફેરખતની વ્યાખ્યામાં સમાવેશ કર્યો છે. જેથી આવા કિસ્સાઓમાં વસૂલવા પાત્ર સ્ટેમ્પ ડયૂટીને પણ કાયદાથી પીઠબળ મળશે અને રાજયની આવકમાં પણ વધારો થશે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમજ કલમ-૨ (ઢ)માં લેખની વ્યાખ્યા મુજબ જોગવાઇઓ મુજબ સક્ષમ સત્તા માત્ર મૂળ લેખ ઉપર જ સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો હુકમ કરી શકે છે. સ્ટેમ્પ ડ્યૂટીથી બચવા પક્ષકારો મૂળ લેખ રજૂ કરતા નથી પણ તેની નકલ રજૂ કરે છે અને સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાંથી છટકી જાય છે. હવે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાના હેતુ માટે મૂળ લેખની ગેરહાજરીમાં તેની નકલ પણ લેખની વ્યાખ્યામાં સમાવી લીધી છે. જેથી સક્ષમ સત્તા નકલના આધારે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવાનો હુકમ કરી શકશે. આના પરિણામે કોર્ટ મેટર અને લિટિગેશન ઘટશે અને સ્ટેમ્પ ડ્યૂટીની વસૂલાત સરળ અને સચોટ રીતે થઇ શકશે.
હાલમાં કલમ-૩ (ક)માં આર્ટિકલ ૬ (૧) પ્રમાણે હક્કપત્ર અનામત મૂકવાનો સમાવેશ થતો નથી. જેથી ૪૦ ટકા વધારાનો સરચાર્જ વસૂલી શકાતો નથી, પરંતુ ગીરોના કિસ્સામાં બેંકો માત્ર ટાઇટલ જ નહીં, પણ મિલક્ત પર પણ બોજો ઊભો કરે છે અને ડિફોલ્ટના કિસ્સામાં મિલ્કતની હરાજી પણ બેંકો દ્વારા કરવામાં આવે છે. આથી આર્ટિકલ ૬ (૧) ની જોગવાઇમાં હક્કપત્ર અનામત રાખવા પણ સરચાર્જના દાયરામાં લાવવાનો સુધારો દાખલ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ કલમ-૧૦ (એ) ઉમેરીને સરકારી સંસ્થાઓ, સ્થાનિક સત્તા મંડળ, બોર્ડ-નિગમ વગેરે દ્વારા ભાડાપટ્ટે અથવા તો વેચાણ અપાતી મિલકતો પર સ્ટેમ્પ ડયૂટી વસૂલવા પાત્ર છે કે કેમ તે નકકી કરવાની સત્તા પણ સક્ષમ સત્તાધિકારીને આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
રાજયમંત્રી રાજપૂતે જણાવ્યું કે આ બિલમાં એક તરફ પ્રજાહિતના નિર્ણયો લઈને કાયદાકીય આંટીઘૂંટીઓ સરળ બનાવાઈ છે, તો બીજી તરફ કોઇ પણ ચમરબંધી છૂટી ન જાય કે તંત્રની સત્તાને નકારી નહીં શકે. ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ થઇ હોય, તેવા દસ્તાવેજો કોઇ જગ્યાએ રાખેલા હોય, તો તે જગ્યાએ પ્રવેશ કરવાની અને જપ્તી કરવાની સત્તા પણ અધિકારીઓને આપવામાં આવી છે. જો આમ કરતાં અધિકારીઓને કોઇ અટકાવશે, તો તેના માટે દંડ સાથે જેલની સજાની જોગવાઇ પણ દાખલ કરવામાં આવી છે.
