બનાસકાંઠા : પેપર મિલના કૂવામાં કામ કરતા 3 શ્રમિકના ગેસ ગળતરથી મોત, 2ની હાલત ગંભીર
રાજ્યમાં અવાર-નવાર ગેસ ગળતરની ઘટના સામે આવતી હોય છે જેમાં અનેક શ્રમિકો મૃત્યુ પામતા હોય છે ત્યારે બનાસકાંઠામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં કૂવાની સફાઈ દરમિયાન ગેસ ગળતરથી ગુંગણામણ થતા 3 શ્રમિકોના મોત નિપજ્યા છે. ગેસ ગળતરની અસર 5 શ્રમિકોને થઇ હતી જેમાં 3 શ્રમિકોના મોત થયા છે જયારે 2 મજૂરોની હાલત ગંભીર છે. ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગતો અનુસાર આ ઘટના બનાસકાંઠાના પાલનપૂર ડીસા હાઇવે પરની છે જ્યાં આવેલી પેપરમિલના કૂવામાં કામ કરી રહેલા શ્રમિકોને ગેસગળતરની અસર થઇ હતી. એક શ્રમિકને ગૂંગળામણ થતા અન્ય શ્રમિકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે તેઓ પણ ગૂંગળામણનો ભોગ બન્યા હતા. ઘટનાને પલગે ત્યાં હાજર અન્ય લોકોએ 108 અને ફાયરની ટીમને જાણ કરી હતી અને અસરગ્રસ્ત શ્રમિકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.
પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા 5 શ્રમિકો ને ગૂંગળામણની અસર થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ શ્રમિકના મોત થયા છે જ્યારે બે શ્રમિકોને સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે તો બે શ્રમિકો ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે. ઘટનાને લઈને ગઢ પોલીસ સ્થળ ઉપર પહોંચીને સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી છે.
સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ ગટરમાં કામદારને ઉતારવા મનાઈ
સન ૨૦૧૪માં સુપ્રિમ કોર્ટના અધિનિયમ મુજબ ગટરમાં સફાઈ કામગીરી માટે સફાઈ કામદારને ભૂગર્ભ ગટરમાં ઉતારવા માટે મનાઈ હુકમ ફરમાવામાં આવ્યો છે. તેમજ રાજ્ય સરકારે પણ ૧૧-૭-૨૦૧૯ના રોજ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટરની સફાઈની કામગીરી આઉટ સોર્સિંગથી કરવામાં આવતી હોય તો એજન્સીના બિલની ચુકવણી કરતા પહેલા અધિકૃત કરાયેલા અધિકારી કે કર્મચારીની ઉપસ્થિતિ આવશ્યક છે.