હરિયાણામાં અમદાવાદ પોલીસને નડ્યો અકસ્માત : પોસ્કો કેસની તપાસમાં લુધિયાણા જતા 3 પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના હરિયાણામાં સામે આવી છે જેમાં ગુજરાતના 3 પોલીસકર્મીને અકસ્માત નડ્યો હતો. પોલીસની ગાડી રોડ પર ઉભેલા વાહન સાથે અથડાઈ જતા અકસ્માત થયો હતો જેમાં 3 લોકોના મોત નિપજ્યાં હતા. આ ગમખ્વાર અકસ્માતમાં પોલીસ કર્મીના મોતથી પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે.
શું છે સમગ્ર ઘટના ??
હરિયાણાના સિરસામાં ભારત માલા ફોરલેન પર બુધવારે સવારે અમદાવાદ પોલીસની ગાડી રોડ પર ઉભેલા વાહન સાથે અથડાઈ જતા સર્જાયેલા અકસ્માતમાં અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના જવાન સહિત 3નાં મોત થયા હતા. આ દુર્ઘટનામાં રામોલના પો.એસ.આઈ. સોલંકીને પણ ઈજા થઈ હતી. પીએસઆઇ સોલંકી તથા 3 પોલીસ જવાનો પોસ્કોના ગુનાની તપાસમાં લુધિયાણા જઈ રહ્યા હતા. ત્યારે સરકારી બોલેરોને હરિયાણાનાં ડબવાલી ખાતે અકસ્માત થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસની બોલેરો ટ્રકની પાછળ ઘુસી જતા ભયંકર અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માત થતા પોલીસ કર્મીના મોતથી પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે. અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત તથા હોમગાર્ડ રવિન્દ્ર તથા ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયુ છે. તેમજ રામોલ પોલીસ મથકના PSI જે.પી.સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.