સૌરાષ્ટ્રમાં 1.26 લાખ રેશનકાર્ડ સાયલન્ટ મોડમાં : રાજકોટ જિલ્લામાં 23,281 રેશનકાર્ડ ધારકોને નહીં મળે રાશન જથ્થો
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા વારંવાર મુદત લંબાવવા છતાં પણ અનેક રેશનકાર્ડ ધારકોએ પોતાના રેશનકાર્ડ ઈ-કેવાયસી ન કરાવવાની સાથે અનેક રેશનકાર્ડ સરકારની યોજનાનો નિયમિત લાભ લેતા ન હોવાથી પુરવઠા વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં કુલ 22,66,959 રેશનકાર્ડ પૈકી 1,26,948 રેશનકાર્ડ સાયલેન્ટ કરી નાખ્યા છે. જેમાં અંત્યોદય યોજનાના પણ 10,655 રેશનકાર્ડનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મફત ઘઉં-ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે તમામ NFSA રેશનકાર્ડ ધારકો અને અંત્યોદય યોજનાના લાભાર્થી રેશનકાર્ડ ધારકો માટે E-KYC ફરજીયાત બનાવી અગાઉ અનેક મુદત આપ્યા બાદ 30 એપ્રિલની છેલ્લી મુદત આપવામાં આવી હતી આમ છતાં પણ સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી કુલ 1,26,948 રેશનકાર્ડ ધારકોએ પોતાના રેશનકાર્ડનો નિયમિત ઉપયોગ નહીં કરવાની સાથે ઈ-કેવાયસી ન કરાવ્યું હોવાથી આવા રેશનકાર્ડ સાયલેન્ટ મોડમાં ધકેલાઈ જતા હવે E-KYC બાદ જ આવા રેશનકાર્ડ ધારકોને રેશનનો જથ્થો અમલી શકશે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં 27,826 રેશનકાર્ડ સાયલન્ટ થયા છે જયારે રાજકોટ જિલ્લો 23,281 રેશનકાર્ડ સાથે બીજા ક્રમે હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને બે કે તેથી વધુ મહિના સુધી રેશનિંગનો જથ્થો નહીં લેવા જનાર અનેક રેશનકાર્ડના કાર્ડ પણ સાયલેન્ટ મોડમાં ધકેલાઈ ગયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.સાથે જ સૌરાષ્ટ્રના 11 જિલ્લામાંથી કુલ 10,655 અંત્યોદય યોજનાના રેશનકાર્ડ ધારકો પણ સાયલેન્ટ મોડમાં આવી ગયાનું સૂત્રો જણાવી રહ્યા છે.