ઠંડીના ચમકારા સાથે જ સિંહ, વાઘ અને દીપડાના ખોરાકમાં વધારો
પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણી-પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા
સાપ માટે લેમ્પ વાળા માટલા, ધાબળાના કટકા મુકાયા, ચિતલ, સાબર અને કાળીયાર માટે ઘાસની પથારી : તમામ પાશુપક્ષીઓના નિવાસમાં કંતાન-પૂંઠા ફિટ કરાયા

છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડીનો પ્રારંભ થતા જ રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણી-પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રી દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, લાકડાની પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે જેથી ઠંડા પવન સામે પ્રાણીઓને રક્ષણ આપવામાં આવી રહ્યું છે. હાલમાં પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ૬૫ પ્રજાતિઓનાં કુલ ૫૪૬ વન્યપ્રાણી-પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે જેમાં શિયાળાના કારણે સિંહ, વાઘ અને દીપડાના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે.
સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે.દર વર્ષે અંદાજિત ૭.૦૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાત લઈ રહ્યા છે. હાલમાં અહીં જુદી જુદી ૬૫ પ્રજાતિઓનાં કુલ ૫૪૬ વન્યપ્રાણી-પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ શિયાળાની ઋતુમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ વધતા ઝૂના તમામ પ્રાણી-પક્ષીઓ માટે તેઓની પ્રકૃતી અનુંસાર ઠંડીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલ હોવાનું મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું.
શિયાળાની ઋતુ દરમિયાન સિંહ, વાઘ, દિપડા તેમજ તમામ પ્રજાતીનાં નાના-મોટા માંસાહારી પ્રાણીઓમાં ખોરક વધી જતા હાલ ખોરાકમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો કરવમાં આવેલ છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓમાં પણ ખોરાકમાં વધારો થતા લિલોચારો ઉપરાંત સૂકુ ઘાસ આપવામાં આવે છે. ઉપરાંત મગર, ઘરીયલ, સાપ વિગેરે સરિસૃપ પ્રજાતીના પ્રાણીઓમાં શિયાળાની ઋતુ દરમિયાન ખોરાકમાં ઘટાડો નોંધાયેલ છે.
ઠંડી સામે રક્ષણ આપવા માટે કરવામાં આવેલ વ્યવસ્થા
સિંહ, વાઘ, દિપડા, રીંછને ઠંડીથી રક્ષણ આપવા માટે રાત્રી દરમિયાન નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજે કંતાન, પ્લાય તથા પુંઠાનો ઉપયોગ કરી બંધ કરવામાં આવે છે. જયારે ચિત્તલ, સાબર, કાળીયાર, હોગ ડીયર વિગેરે તૃણાહારી પ્રાણીઓના પાંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવે છે. જેથી રાત્રી દરમિયાન પ્રાણીઓ સૂકા ઘાસ ઉપર બેસી હુફ મેળવી ઠંડી જમીનથી રક્ષણ મેળવે છે. જયારે સરિસૃપ કુળના પ્રાણીઓ જેવા કે તમામ પ્રકારના સાપના નાઇટ શેલ્ટરમાં ધાબળાના ટુંકડા તથા ખાસ પ્રકારના કાણાંવાળા માટલાની અંદર ઇલેટ્રીક લેમ્પ ગોઠવવામાં આવેલ છે. માર્શ મગર અને ઘરીયાલ જેવા મોટા પ્રાણીઓ માટે વિશાળ ઉંડા પાણીના પોન્ડ હોય રાત્રી દરમિયાન ઠંડીમાં શરીરનું તાપમાન સમતુલીત કરવા પાણીના તળીયે બેસી રહે છે.તમામ પ્રકારના વાંદરાઓ માટે નાઇટ શેલ્ટરનાં બારી-દરવાજાને કંતાન તથા પુંઠાથી બંધ કરી રૂમની અંદર બેસવા માટે લાકડાના પટીયા ગોઠવવામાં આવેલ છે. ઉપરાંત જુદી જુદી પ્રજાતીઓના પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરાના ફરતે ગ્રીન નેટ તથા ઉપરના ભાગે સૂકુ ઘાસ પાંથરવામાં આવેલ છે.
સક્કરબાગ ઝૂને સફેદ વાઘ અપાયા, બદલામાં સિંહની જોડી મળી
રાજકોટ ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. આર.કે.હીરપરાએ જણાવ્યું હતું કેમ સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ઓફ ઇન્ડીયાની મંજૂરી મળતા રાજકોટ પ્રાણીઉદ્યાન દ્વારા સક્કરબાગ ઝૂ, જુનાગઢને સફેદ વાઘ જોડી-૦૧ (નર તથા માદા) આ૫વામાં આવેલ જયારે સક્કરબાગ ઝૂ, જુનાગઢ દ્વારા રાજકોટ ઝૂને એશિયાઇ સિંહ જોડી-૦૧ (નર તથા માદા) આ૫વામાં આવેલ છે. રાજકોટ ઝૂ ખાતે એશિયાઇ સિંહમાં બ્લડ લાઇન ચેન્જઇ કરવા હેતુ સિંહની જોડી મેળવી વન્યપ્રાણી વિનિમય કરવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું. સાથે જ હાલ રાજકોટ ઝૂ ખાતે સફેદ વાઘની કુલ સંખ્યા ૦૮(નર-૩, માદા-૫) તથા સિંહની કુલ સંખ્યા ૧૪ (નર-૦૪, માદા-૧૦) હોવાનું જણાવ્યું હતું.