રાજકોટમાં એનડીઆરએફની બે ટીમનું આગમન
સરહદી કચ્છ તેમજ જામનગર જિલ્લામાં આપદાની સ્થિતિ માટે સ્ટેન્ડ ટુ
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન દ્વારા હવાઈ હુમલા અને ડ્રોન એટેક કરવામાં આવતા બન્ને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થઈ હોવાથી આપાતકાલીન સ્થિતિમા રાજકોટ જિલ્લામાં ગુજરાત સરકારે એનડીઆરએફની બે ટીમો ફાળવતા રવિવારે રજાના દિવસે બન્ને ટીમો રાજકોટ આવી પહોંચી હતી. હાલમાં એનડીઆરએફની ટીમે એસઆરપી કેમ્પ ઘંટેશ્વર ખાતે મુકામ કર્યો છે.
યુદ્ધ વિરામ વચ્ચે પણ પાકિસ્તાન દ્વારા છમકલા ચાલુ રાખવામાં આવતા પાકિસ્તાન સરહદથી જોડાયેલા ગુજરાત રાજ્યમાં હજુ પણ એલર્ટની સ્થિતિ છે. બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા જામનગર અને કચ્છ જિલ્લામાં કંઈપણ સ્થિતિ થાય તો પહોંચી વળવા રાજકોટ ખાતે એનડીઆરએફની બે ટીમ મોકલવામાં આવી છે. દરમિયાન રવિવારે રજાના દિવસે વડોદરાથી એનડીઆરએફની બે ટીમના 60 સભ્યો ત્રણ બસ મારફતે રાજકોટ આવી પહોંચ્યા હતા અને કલકેટર કચેરી ખાતે રિપોર્ટિંગ કરી એસઆરપી કેમ્પ ઘંટેશ્વર ખાતે મુકામ કર્યો હોવાનું જાણવા મળે છે.
રજાના દિવસે મોબાઈલ સર્વિસ પ્રોવાઇડરો સાથે બેઠક યોજતા કલેકટર
પાડોશી દેશ સાથે તણાવપૂર્વ સંબંધ વચ્ચે શનિવારે સિઝફાયર ઘોષિત થયા બાદ પણ પાકિસ્તાન દ્વારા અટકચાળા ચાલુ રાખવામાં આવતા હજુ પણ રાજ્યભરમાં વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર છે. બીજી તરફ આજે રવિવારની રજા હોવા છતાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર જિલ્લામાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા ન ખોરવાઈ તે માટે સૂચના આપી હોવાનું જાણવા મળે છે.