બે નકલી પોલીસ 50 હજારનો તોડ કરતા પકડાયા
યુનિવર્સિટી વિસ્તારમાં માલવિયાના સ્ટાફે કાર્યવાહી કરતા શંકા ગઈ
પેટા..શાંતિનગર ગેઇટ નજીક ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાતે બેઠેલા યુવકોને ધમકાવી 50 હજારનો તોડ કરવાનો પ્રયાસ નિષ્ફળ : યુનિવર્સિટી પોલીસે બંનેની ધરપકડ કરી
શહેરમાં નકલી પોલીસ બનીને તોડબાજી કરવાના પ્રયાસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રૈયાધાર શાંતિનગર ગેઇટ નજીક ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોડી રાત્રે મિત્રો સાથે બેઠેલા એક યુવાનને ડરાવી-ધમકાવી 50 હજારનો તોડ કરવા નીકળેલા બે શખ્સોને યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધા છે. ‘યુનિવર્સિટી પોલીસની હદમાં માલવીયાનગર પોલીસ શું કરે છે?’ તેવી ભોગ બનનારના મિત્રને શંકા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાવડીમાં ઘરઘંટીના બોક્સ બનાવવાના કારખાનામાં મજૂરી કરતા અને મવડી પ્લોટ મધુરમ્ સોસાયટીમાં રહેતા કિરીટભાઇ મનસુખભાઇ પીઠડીયા (ઉ.વ.૩૧) ગત તા. ૧૨/૬ના રોજ રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ પોતાના મિત્રો નરેશભાઈ પાંચાલ, રવિભાઈ ચાવડા અને ભાર્ગવભાઈ જોગર સાથે રૈયાધાર શાંતિનગર ગેટથી આગળ સોપાન લક્ઝરીયસની પાછળ આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેઠા હતા. આ સમયે બ્લુ કલરના ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર પર બે અજાણ્યા શખ્સો ત્રાટક્યા હતા. જેમાંથી સ્કૂટર ચલાવનાર શખ્સે પોલીસના લોગોવાળું જેકેટ પહેર્યું હતું.
આ પણ વાંચો: લજાઈ ચોકડી પાસે હિટ એન્ડ રનમાં યુવકનું મોત
“અમે પોલીસ છીએ, તમે અહીં ખુલ્લા પટ્ટમાં કેમ બેઠા છો?” તેમ કહી આ શખ્સોએ યુવાનોને ડરાવ્યા હતા. પોલીસના ડરથી કિરીટભાઈના મિત્રો ભાગી ગયા હતા, પરંતુ આ બંનેએ કિરીટભાઈને પકડી લીધા હતા. પોલીસનું જેકેટ પહેરેલા શખ્સે પોતે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાંથી આવતો હોવાનું કહી ધમકી આપી હતી કે, “તારા મિત્રોને પાછા બોલાવ, નહીંતર બંને મોટરસાયકલ ડિટેઈન કરી લઈશ. પોલીસ કેસ ન કરવો હોય અને માર ન ખાવો હોય તો ૫૦ હજાર રૂપિયા આપવા પડશે.” મિત્રો પરત ફર્યા બાદ નરેશભાઈને આ બંને શખ્સોની વર્તણૂક પર શંકા ગઈ હતી. તેમણે બંનેના નામ પૂછતાં બાઈક ચાલકે પોતાનું નામ આર્યન ફળદુ અને સાથીદારે પરમરાજ માંજરીયા જણાવ્યું હતું. જે બાદ માલવિયાનગર પોલીસ મથકના પોતાના પરિચિત પોલીસમેનને ફોન કરીને પૂછતા આવું કોઈ નામના પોલીસકર્મી માલવિયાનગર પોલીસ મથકમાં ન હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટના બાદ રાતનો સમય હોવાથી યુવાનો ઘરે જતા રહ્યા હતા. પરંતુ બીજા દિવસે હિંમત ભેગી કરી યુનિવર્સિટી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પીઆઈ સી. એન. દવે સમક્ષ ઘટના વર્ણવતા, તેમની સૂચનાથી પીએસઆઈ વી. જી. ડોડીયાએ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ ડી-સ્ટાફની ટીમે તાત્કાલિક એક્શન લઈ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મુખ્ય આરોપી આર્યન ફળદુ ગાંધીનગર ખાતે ‘જનરક્ષક સેવા-૧૧૨’માં ડ્રાઈવર તરીકે ભરતી થવાની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે’ જ્યારે પરમરાજ અગાઉ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને હાલ બેરોજગાર છે.
