મને જે પ્રેમ મળે છે તેનું હકદાર રાજકોટ છે
રાજકોટે મને પ્રથમ વાર એમએલએ બનાવી ગાંધીનગર મોકલ્યો
હું ફરી એકવાર રાજકોટના એક-એક વ્યક્તિને માથું ઝૂકાવી નમન કરું છું
મોદી સરકારના શાસનમાં એક જ દાયકામાં દેશને દસ-દસ એઇમ્સ મળી
રવિવારે રાજકોટને એઇમ્સ સહિત રૂ. ૪૮,૦૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપવા આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરસભામાં રાજકોટ અને રાજકોટવાસીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે દેશમાં મને જે પ્રેમ મળે છે તેનું ખરું હક્કદાર રાજકોટ છે… આજથી ૨૨ વર્ષ પહેલા બરાબર આજે દિવસે રાજકોટ મારામાં વિશ્વાસ વ્યક્ત કરીને મને ચૂંટણીમાં વિજયી બનાવી ગાંધીનગર મોકલતા મેં પ્રથમ વખત શપથ ગ્રહણ કર્યા હતા અને આજે આ સ્થાને પહોંચી શક્યો છે.
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેરસભાને સંબોધતા પોતાના અડધો કલાકના ભાષણમાં રાજકોટને વારંવાર યાદ કર્યું હતું અને જણાવ્યું હતું કે હું ખરા હૃદયથી રાજકોટનો આભારી છું, આજથી ૨૨ વર્ષ પહેલા રાજકોટ મને પહેલી વખત આપી એમએલએ તરીકે ચૂંટી કાઢ્યો હતો અને ૨૫ ફેબ્રુઆરીએ જ પહેલી વાર મેં રાજકોટના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં શપથ ગ્રહણ કર્યા હતા.રાજકોટના એક એક લોકોએ મને પ્રેમ અને વિષ્વાસનો કરજદાર બનાવ્યો છે, રાજકોટના એક એક વ્યક્તિને આજે હું કહી શકું છું કે, તમે જે મારા ઉપર ભરોસો મુક્યો હતો એ ભરોસા ઉપર આજે હું ખરો ઉતરવાની કોશિષ કરી રહ્યો છું. આજે પૂરો દેશ એટલો પ્રેમ આપે છે અને એટલા આશીર્વાદ આપે છે તેનું હક્કદાર રાજકોટ છે. સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે આજે પેઢીની પેઢી બદલાઈ ગઈ છે છતાં પણ મારા પ્રત્યેનો સ્નેહ ઓછો નથી થયો. હું ફરી એક વાર રાજકોટના એક એક વ્યક્તિને માથું ઝુકાવી નમન કરું છું.
વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે દેશ ત્રીજી વાર એનડીએ સરકારને આશીર્વાદ આપી રહી છે ત્યારે અબ કી બાર… અબ કી બાર….. એવું બોલતા જાહેરસભામાં હાજર લોકોમાંથી મોદી સરકારના નારા લાગતા વડાપ્રધાને કહ્યું હતું કે અબ કી બાર ચારસો કે પાર.. નવું સૂત્ર પણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૨માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે વજુભાઇ વાળાએ રાજીનામુ આપી રાજકોટની બેઠક નરેન્દ્રભાઈ માટે ખાલી કરી હતી ત્યારે જોગાનુજોગ વડાપ્રધાન માટે બેઠક ખાલી કરનાર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા પણ વડાપ્રધાન સાથે સભામંચ ઉપર પ્રથમ હરોળમાં મંચસ્થ હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેઓને પોતાની સ્પીચ દરમિયાન પણ આદરપૂર્વક યાદ કર્યા હતા.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે આજનો દિવસ ન માત્ર રાજકોટ કે ગુજરાત માટે બલ્કે સમગ્ર દેશ માટે ગૌરવવંતો છે, કારણ કે આજે એક સાથે પાંચ પાંચ એઇમ્સ લોકાર્પણ થઇ છે અને વિકસિત ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ કેવી હશે તેની એક ઝલક સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે, આ સાથે જ તેઓએ કોંગ્રેસ સરકારને નિશાન ઉપર લેતા કહ્યું હતું કે આઝાદીના ૫૦ વર્ષના ઇતિહાસમાં એક માત્ર દિલ્હી એઇમ્સ હતી અને જે બાદ સાત એઇમ્સ હતી પરંતુ આજે ગતિશીલ સરકારના શાસનમાં એક જ દાયકામાં દેશને દસ દસ એઇમ્સ મળી છે અને છેલ્લા પાંચ વર્ષમાં જે જે એઈમ્સના ખાતમુહૂર્ત મારા હાથે થયા છે એના આજે લોકાર્પણ થઇ રહ્યા છે જે મોદીની ગેરંટીના નમૂના હોવાનું જણાવી દેશમાં મોદી સાશનકાળમાં થઇ રહેલા આરોગ્ય, રોડ રસ્તા, શિક્ષણ,આયુષ્યમાન ભારત, જન ઔષધિકેન્દ્ર સહિતના પ્રકલ્પોથી દેશને મળી રહેલી સુવિધાઓ ગેરંટીની પણ ગેરંટી હોવાનું જણાવ્યું હતું.
નોંધનીય છે કે,રાજકોટની જાહેરસભામાં વડાપ્રધાનના નિર્ધારિત સમય કરતા ૨૨ મિનિટ મોડા પહોંચતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ભાષણમાં રાજકોટની જાહેરસભામાં ઉપસ્થિત જનમેદનીની ક્ષમા માંગતા કહ્યું હતું કે, મને આવવામાં વિલંબ થયો છે કારણ કે આજે દ્વારકાના પ્રવાસ દરમિયાન મને અદભુત આધ્યાત્મિક સાધનાનો મને મોકો મળતા મેં સમુદ્રમાં ડૂબી ગયેલ કૃષ્ણની દ્વારકાના દર્શન કરી પૂજા અર્ચન કરી પુરાતન દ્વારકાના અવશેષોને સ્પર્શ કરવાની સાથેભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવાનો મને મોકો મળ્યો પરિણામે અહીં પહોંચતા મને થોડો વિલંબ થયો તો ક્ષમા કરશો.
હિરાસર એરપોર્ટ ખાતે PMએ ૨૦ મિનિટ ગૂફ્તેગૂ કરી
વડાપ્રધાન મોદી રવિવારે રાજકોટ ખાતે રાત્રી રોકાણ કરી લોકસભા ચૂંટણી અંગે સૌરાષ્ટ્રની નેતાગીરી સાથે ચર્ચા કરનાર હોવાના પ્રોગ્રામમાં અચાનક ફેરફાર થતા જાહેરસભા બાદ તેઓ સીધા જ જુના એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ સાથે ચર્ચા કર્યા બાદ પીએમ મોદી હેલીકૉપટર મારફતે હિરાસર એરપોર્ટ રવાના થયા હતા, જો કે મહત્વની બાબત એ છે કે હિરાસર એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીએ ૨૦ મિનિટનું રોકાણ કર્યું હતું, પીએમ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સી.આર.પાટીલ સિવાય અન્ય એક એમએલએ લખેલી કાર પણ હિરાસર એરપોર્ટ ઉપર હાજર હોય હિરાસર એરપોર્ટ ખાતે ૨૦ મિનિટના વડાપ્રધાનના આ રોકાણ અંગે પાર્ટી લેવલે ચર્ચાઓ ચાલી રહી છે. જો કે સૂત્રોએ વડાપ્રધાન માત્ર ફ્રેશ થવા જ ૨૦ મિનિટ એરપોર્ટ ખાતે ગાળી હોવાનું જણાવી રહ્યા છે.