રાહુલ-યુવરાજે કર્મીને કહ્યું, તારે બચવું હોય તો કુદકો મારી જા !
ટીઆરપી ગેઈમ ઝોનમાં નોકરી કરતાં અને દૂર્ઘટનામાં બચી ગયેલા જામનગરના મનિષે કર્યો ખુલાસો
રાજકોટ માટે અત્યંત ગોઝારા ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કાંડમાં અત્યાર સુધી ૨૭ લોકોના મૃત્યુ થયા છે ત્યારે અમુક લોકોના સદ્ભાગ્યે જીવ પણ બચી ગયા છે ત્યારે ગેઈમ ઝોનમાં નોકરી કરતાં અને ઘટનામાં બચી ગયેલા કર્મીએ આ મામલે નવો ખુલાસો કર્યો છે.
મુળ જામનગરના અને ટીઆરપી ગેઈમ ઝોનમાં નોકરી કરતાં મનિષ નામના કર્મીએ જણાવ્યું કે આગ લાગ્યાની સૌથી પહેલી જાણ મને જ થઈ હતી કેમ કે હું ત્યાં જ હતી. સૌથી પહેલાં તો આગ સામાન્ય જણાતી હતી પરંતુ જોતજોતામાં બધું સળગવા લાગતાં મેં ગેઈમ ઝોનના માલિક રાહુલ રાઠોડને જાણ કરી હતી. આ પછી મેનેજર સુપરવાઈઝર અને અન્ય માલિક યુવરાજસિંહને પણ આગ અંગે જાણ કરી હતી. ત્યારબાદ હું ઉપરના માળે ગયો હતો જ્યાં ૨૦થી ૨૫ લોકો હાજર હતા જેમાં અનેક લોકો સળગી રહ્યા હતા આમ છતાં હું તેડી તેડીને તેને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.
થોડી જ વારમાં આગ બેકાબૂ બની જતાં હું બીજા માળે ફસાઈ ગયો હતો જ્યાંથી મેં યુવરાજસિંહ અને રાહુલ રાઠોડને ફોન કરીને કહ્યું હતું કે હવે હું બહાર કેવી રીતે નીકળું ? આ પ્રશ્નનો બન્નેએ એવો જવાબ આપ્યો હતો કે જો તારે બચવું હોય તો બીજા માળેથી કૂદકો મારીને બહાર નીકળી જાય ! મેં આવું જ કર્યું હતું અને મારો જીવ બચી ગયો હતો…