મનપામાંથી એક સાથે ૨૫થી વધુ રાજીનામાની તૈયારી !
અગ્નિકાંડ બાદ એક પછી એક ધરપકડને કારણે મહત્ત્વની શાખાઓ મૂર્છિત અવસ્થામાં…
ફાયર-ટીપી વિભાગમાંથી સૌથી વધુ વિદાય' થવાના ભણકારા: અમુક તો એકાદ-બે વર્ષમાં નિવૃત્ત થાય તે પહેલાં જ
નીકળી’ જશે
અધિકારીઓ-પદાધિકારીઓ વચ્ચે સંકલનનો સેતુ તૂટી ગયા જેવી સ્થિતિ: ગમે તે થાય છેલ્લે મરો તો અરજદારનો જ થવાનો…!
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ સૌથી ખરાબ સ્થિતિ જો અત્યારે કોઈ કચેરીની હોય તો તે મહાપાલિકા કચેરીની છે. સવાર-બપોર-સાંજ અહીં અગ્નિકાંડની ગુંજ જ સાંભળવા મળી રહી છે અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ એકબીજાને હવે કોનો વારો આવશે' તેવી ચર્ચા કર્યા વગર રહી શકતાં નથી. મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ તેમજ ફાયર બ્રિગેડ વિભાગમાં ફરજ બજાવતાં ૮ અધિકારી-કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી છે અને હજુ તેમાં ઉમેરો થવાની શક્યતા નકારી શકાતી નથી ત્યારે ટૂંક સમયમાં મનપામાંથી એક સાથે ૨૫થી વધુ રાજીનામાની તૈયારી થઈ ચૂકી હોવાની વિગતો મળી રહી છે ! અગ્નિકાંડમાં સંડોવાયેલા તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ડે.ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા ઉપરાંત તત્કાલિન આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર રાજેશ મકવાણા, મુકેશ મકવાણા, ગૌતમ જોષી, જયદીપ ચૌધરી ઉપરાંત ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ થઈ ચૂકી છે.
આ તમામ અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે અને તમામને આકરી સજા થાય તેવી શક્યતા રહેલી છે ત્યારે આવનારા દિવસોમાં મનપામાં રાજીનામાની મૌસમ પણ પૂરબહારમાં ખીલી ઉઠે તેવી શક્યતા નકારી શકાતી નથી. આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે રાજીનામા આપનારા અધિકારીઓ-કર્મીઓમાં સૌથી વધુ સંખ્યા ફાયર અને ટાઉન પ્લાનિંગ વિભાગની રહેશે કેમ કે અગ્નિકાંડમાં આ બન્ને વિભાગ એટલી હદે વગોવાઈ ચૂક્યા છે કે હવે તેમાં લાંબા સમય સુધી ફરજ બજાવી વિવાદમાં આવવાનું કોઈ મુનાસીબ માની રહ્યું નથી. અમુક અધિકારી-કર્મચારીઓ એકાદ-બે વર્ષમાં નિવૃત્ત થઈ રહ્યા છે પરંતુ હવે તેઓ વહેલા
એક્ઝિટ’ લઈ લેવાની તૈયારીમાં છે. અમુકે તો મ્યુ.કમિશનરને રાજીનામા મોકલી આપ્યા હોવાનું પણ બહાર આવી રહ્યું છે. જો કે સત્તાવાર રીતે કોઈ કશું બોલી રહ્યું નથી.
આ જ રીતે અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે વર્ષોથી ચાલ્યો આવતો સંકલનનો સેતુ પણ તૂટી ગયા જેવી સ્થિતિ અત્યારે નિર્માણ પામી જવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે. સામાન્ય રીતે કોઈ અરજદાર પોતાના વિસ્તારના કોર્પોરેટર અથવા તો પદાધિકારીને કામની ભલામણ કરતા હોય છે અને ત્યારબાદ તે કામ વ્યાજબી છે કે નહીં તેના આધારે કોર્પોરેટર લાગુ અધિકારી-કર્મચારીને ભલામણ કરતા હોય છે. જો કે અગ્નિકાંડ બાદ પદાધિકારીઓની ભલામણનું કશું વજન રહેતું ન હોવાથી જબદરસ્ત મુંઝવણ ઉભી થઈ જવા પામી છે.
આ બધામાં છેલ્લે મરો તો અરજદારનો જ થવાનો છે કેમ કે સામાન્ય અરજદારો સીધા ઉચ્ચ અધિકારીઓ સુધી જવાની હિંમત કરતા હોતા નથી એટલા માટે પોતાનું કામ પૂર્ણ કરાવવા માટે કાં તો તેમણે ધક્કા ખાવા પડશે અથવા તો સ્થિતિ થાળે પડે તેની રાહ જોવી પડશે.