લાખાજીરાજ શાક માર્કેટ ખાલી કરાવાશે, રિપેર કરાવીને પરત સોંપી દેવા નિર્ણય
બિલ્ડિંગ સાવ ખખડી ગયું હોવાથી રિપેર કરાવવું અત્યંત આવશ્યક
તમામ દુકાન, વખાર, થડાધારકને બાહેંધરીપત્રક અપાશે: રિપેરિંગનો તમામ ખર્ચ મનપા ઉઠાવશે
શહેરના ધર્મેન્દ્ર રોડના છેડે આવેલી ૧૦૦ વર્ષ જૂની લાખાજીરાજ શાક માર્કેટ ૨૯ જૂલાઈ સુધીમાં ખાલી કરી કબજો લઈ લેવા મહાપાલિકાએ નોટિસ ફટકારતાં જ વેપારીઓમાં હોબાળો મચી જવા પામ્યો હતો. બીજી બાજુ વેપારીઓ દ્વારા ધારાસભ્ય ઉદય કાનગડને સાથે રાખીને મ્યુ.કમિશનર તેમજ સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરતાં આખરે એવો નિર્ણય લેવાયો છે કે શાક માર્કેટ ખાલી કરાવીને તેનું સંપૂર્ણપણે રિપેરિંગ કરાવાશે જે પૂર્ણ થઈ ગયા બાદ તમામ વેપારીઓ કે જે વર્ષોથી અહીંના ભાડુઆત છે તેમને પરત સોંપી દેવામાં આવશે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે લાખાજીરાજ શાક માર્કેટની હાલત જાણવા માટે સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવાયો હતો જેનું પરિણામ ૧૧ જૂલાઈએ `નેગેટિવ’ આવ્યું હતું મતલબ કે આ બિલ્ડિંગ ગમે ત્યારે તૂટી જાય તેવી સ્થિતિ હોવાનો રિપોર્ટ આવતાં જ એસ્ટેટ શાખા દ્વારા તમામ વેપારીઓને ૨૯ જૂલાઈ સુધીમાં બિલ્ડિંગ ખાલી કરી દેવા નોટિસ ફટકારાઈ હતી.
આ માર્કેટમાં ૪ દુકાન, ૨૧ વખાર અને અંદર-બહારના મળી ૭૯ થડાં આવેલા છે જેનું મહિને જીએસટી સહિત ૫૯૦ રૂપિયા ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. જો કે મનપાની નોટિસ આવતાં જ વેપારીઓમાં હોબાળો મચી ગયો હતો અને તેમણે આટલી ઝડપથી જગ્યા ખાલી કેવી રીતે કરવી તે સહિતના મુદ્દે ધારાસભ્ય સાથે મળીને રજૂઆત કરી હતી.
બીજી બાજુ વેપારીઓને એવો ડર સતાવી રહ્યો હતો કે વર્ષોથી ભાડે દુકાન મળ્યા બાદ હવે ખાલી કરવાના બહાને તેમની પાસેથી બધું છીનવવામાં આવી રહ્યું છે. જો કે મનપા દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે કોઈની દુકાન, થડો કે વખાર છીનવી લેવામાં આવશે નહીં. આ માર્કેટને ૨૯ જૂલાઈ સુધીમાં ખાલી કરાવ્યા બાદ ટેન્ડર પ્રસિદ્ધ કરી રિપેરિંગ કરવાની કાર્યવાહી કરાશે અને રિપેરિંગ પૂર્ણ થયે દરેક ભાડુઆતને ભાડાચીઠ્ઠીના આધારે દુકાન, થડો, વખાર પરત કરવામાં આવશે. આ અંગેનું બાહેંધરીપત્રક પણ દરેક વેપારીને અપાશે.
લાખાજીરાજ માર્કેટના રિપેરિંગ તેમજ ડિઝાઈનમાં મદદ કરવા અમે તૈયાર: રિદ્ધિ શાહ
૧૦૦ વર્ષ જૂની ઐતિહાસિક લાખાજીરાજ શાક માર્કેટને ખાલી કરાવીને તેનું રિપેરિંગ કામ કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આર્કિટેક્ચર તેમજ કલ્ચરની જાળવણી માર્ટ કાર્યરત સંસ્થા `ઈન્ટેક’ના રાજકોટ ચેપ્ટરના ક્નવીનર-આર્કિટેક્ટ રિદ્ધિ શાહે જણાવ્યું કે શહેરના ઐતિહાસિક આધુનિકીકરણ અને અમૂલ્ય વારસવાનું પૂર્ણ વિગતવાર મૂલ્યાંકન અને યોગ્ય સમારકામ થાય તો જોખમ ઘટશે અને આ મહત્ત્વપૂર્ણ માળખાને પુનર્જીવિત કરી શકાશે. અમારી સંસ્થાના ક્વોલિફાઈડ આર્કિટેક્ટસ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સલાહ લઈને આ ઐતિહાસિક ઈમારતના સમારકામ માટે અમે તૈયાર છીએ. અડધી માર્કેટ જે વર્ષોથી બંધ છે તેનો પણ આજના અનુરૂપ ઉપયોગ લઈ શકાય.