સર્વે ભવનમાં આગ લાગે તો ? અગ્નિશમનના સાધનો 12 વર્ષ જુના
સમગ્ર જિલ્લાનું જમીન રેકર્ડ જ્યાં પડ્યું છે તેવી
માપણીના વહીવટમાં ઓતપ્રોત ડીઆઇએલઆર કચેરી ગેમઝોન અગ્નિકાંડ બાદ પણ ઘોરનિંદ્રામાં
રાજકોટ : રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સરકારી સફાળી જાગી છે અને દરેક હોટલ, મોલ, થિયેટર, શાળા, કોલેજ, હોસ્પિટલમાં અગ્નિશમનના સાધનોને લઈ તપાસના આદેશ આપ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાનું જમીન દફ્તર જ્યાં રાખવામાં આવ્યું છે તેવી રાજકોટની ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર લેન્ડ રેકર્ડ કચેરીમાં રામના રખોપા જેવી સ્થિતિ જોવા મળી છે, ખાસ કરીને જમીન માપણીના વહીવટમાં જ ગળાડૂબ રહેતા અધિકારીઓ પાછલા 12 વર્ષથી અગ્નિશમનના સાધનોને રીફીલ કરાવવાનું ભૂલી ગયા હોવાનું અહીં લગાવવામાં આવેલા સાધનો જ ગવાહી આપી રહ્યા છે.
રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ જિલ્લા કલેકટર, પ્રાદેશિક નગરપાલિકા નિયામક, મ્યુનિસિપલ કમિશનર,ડીડીઓ સહિતના અધિકારીઓને શહેર, જિલ્લા, નગર, મહાનગર અને ગ્રામપંચાયત સ્તર સુધી તમામ શાળા, કોલેજો, વ્યાપારી સંકુલ, ધર્મસ્થાનો, હોસ્પિટલ, મોલ, થિયેટર સહિતના સ્થળે ફાયર એનઓસી અને અગ્નિશમનના સાધનોને લઈ તપાસના આદેશ કરવામાં આવ્યા છે તેવા સમયે જ સમગ્ર રાજકોટ જિલ્લાનું જ્યા રેકર્ડ સાચવી રાખવા ઉપરાંત આખા રાજકોટ જિલ્લાના નકશા અને ટિપ્પણ સહિતની મહત્વની સામગ્રી જ્યાં પડી છે તેવી રાજકોટની સર્વે ભવન એટલે કે ડીએલઆરઆઈ કચેરીમાં અગ્નિશમનના સાધનોનો ફિટ કરાયા છે પરંતું આ અગ્નિશમનના સાધનો શોભાના ગાંઠિયા સમાન છે.
રાજકોટના સર્વે ભવનમાં ગ્રાઉન્ડ પ્લસ ટુ એટલે કે ત્રણ માળની કચેરીમાં પ્રથમ ભોંય તળિયે ટિપ્પણ, નકશા સહિતના રેકર્ડ રાખવામાં આવ્યા છે અને ઉપરના માળે સીટી સર્વે તેમજ ડીઆઈએલઆર કચેરી બેસે છે અને ઉપરના માળે નિયામકની કચેરી આવેલ છે, સર્વે ભવનમાં તમામ મજલા ઉપર અગ્નિશમનના સાધનો તો રખવાંમાં આવ્યા છે પરંતુ આ સાધનો વર્ષ 2012માં ફિર કર્યા બાદ તંત્રએ કયારેય આ સાધનો ચાલુ છે કે નહીં તેની તપાસ નહીં કરવાની સાથે રીફીલ કરાવવા પણ તસ્દી લીધી નથી.
ઉલ્લેખનીય છે કે, જમીન માપણીના મોટા વહીવટમાં વ્યસ્ત રહેતી ડીઆઇએલઆર કચેરીમાં ગુરુવારે વોઇસ ઓફ ડે દ્વારા અગ્નિશમન વ્યવસ્થા અંગેના સાધનોની પોળ ખોલવામાં આવતા જ ડીઆઈએલઆર પટેલે જણાવ્યું હતું કે, અગ્નિશમનના સાધનો માટે અગાઉ પત્ર લખવામાં આવ્યો છે અને આજે કચેરીના ફોટા પડતા જ તાબડતોબ કચેરીના વડા દ્વારા વડી કચેરીને પત્ર પાઠવી ગ્રાન્ટ ફાળવવા માંગ કરી હોવાનું જણાવ્યું હતું.