ઉપલેટાના તણસવા ગામે દૂષિત પાણી પીવાથી ચાર બાળકોના મોત
૪૦ લોકોને અસર થયા બાદ બેને કોલેરા: કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારી, પીડીયુ મેડિકલ કોલેજની ૬ ટીમના ધામા
પ્લાસ્ટિકના દસેક કારખાનામાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો કામ કરતા હોય દૂષિત પાણી પીવાથી વ્યાપક અસર
એક બાજુ સૌરાષ્ટ્ર-ગુજરાત કોલેરામુક્ત હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ ઉપલેટાના તણસલા ગામે બહુ ટૂંકા ગાળામાં ૪૦ લોકોને તેની અસર થયું હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દરમિયાન તણસવા ગામે દૂષિત પાણી પીવાને કારણે સાત દિવસની અંદર ચાર બાળકોના મોત થયા હોવાનું સામે આવતાં જિલ્લા કલેક્ટર, આરોગ્ય અધિકારી સહિતના દોડી ગયા હતા અને બેઠકોનો ધમધમાટ શરૂ કરાયો હતો.
આ અંગે ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી પપ્પુ સિંઘે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તણસલા ગામે દસેક જેટલા પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા કારખાના આવેલા છે જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. જો કે અહીં પાણીના પૂરતા સ્ત્રોત ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોએ કૂવા સહિતમાંથી પાણી પીવું પડી રહ્યું હોવાથી સાતથી દસ દિવસની અંદર ૪૦ લોકોને દૂષિત પાણીની અસર થવા પામી હતી. આ પૈકી બે લોકોને જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમને કોલેરા હોવાનું નિદાન થયું છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ચારેક બાળકોના મૃત્યુ થયા હોવાનું હાલ ધ્યાન ઉપર આવી રહ્યું છે.
ઘટના બન્યા બાદ આરોગ્ય વિભાગની ટીમ દોડી ગઈ હતી અને કારખાનાના માલિકો સાથે બેઠક કરી હતી જેમાં નોકરી કરતા કર્મીઓને ચોખ્ખું પાણી આપવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. બીજી બાજુ મૃતકનું મોત કેવી રીતે થયું તેનું સેમ્પલ લેવા સહિતની તજવીજ શરૂ કરાઈ છે. જો કે અહીં સમસ્યા એ થાય છે કે મૃતક બાળકોના પરિવારજનો હાજર ન હોવાથી સેમ્પલ લઈ શકાય તેમ નથી. જો કે યુદ્ધના ધોરણે પાણીના સેમ્પલ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે.
જ્યારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે ચારેય બાળકોના મૃત્યુ દૂષિત પાણી પીવાથી થયા છે. જો કે તેમને કોલેરા હતો કે નહીં તેનો ખ્યાલ હજુ સુધી આવ્યો નથી કેમ કે કોલેરા કાં તો દૂષિત પાણી પીવાથી અથવા તો દૂષિત ખાણીપીણીને કારણે થતો હોવાથી તાત્કાલિક જાહેરનામું પ્રસિદ્ધ કરીને ગણોદ-તણસવા રોડ આસપાસના દસેક કિલોમીટરના વિસ્તારમાં શેરડીનો રસ, દૂષિત પાણીથી બનતો બરફ, કુલ્ફી, લોકલ ઠંડા પીણા, છાશ સહિતના નમૂના લેવામાં આવી રહ્યા છે. દરમિયાન પીડિયુ મેડિકલ કોલેજમાંથી પણ આરોગ્યની ૬ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે.