રાજકોટ દર્શન’ બસને ઠંડો પ્રતિસાદ: ચાર મહિનામાં ૧૧૦૫એ લીધો લાભ
અમુક વાર તો ત્રણ પેસેન્જરને બેસાડી બસ ફેરવાઈ !
માર્ચમાં સૌથી વધુ ૬૫૪ તો ફેબ્રુ.માં સૌથી ઓછા ૬૨ મુસાફરો નોંધાયા: મનપાને ૪૪૩૯૫ની આવક
રાજકોટના ઐતિહાસિક સ્થળોની મુલાકાત શહેરીજનો તેમજ બહારગામથી આવતાં લોકો લઈ શકે તે માટે મહાપાલિકા દ્વારા ડિસેમ્બર મહિનાથી
રાજકોટ દર્શન’ બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જો કે આ બસને ઠંડો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવી રીતે ચાર મહિનામાં ૧૧૦૫ લોકોએ જ લાભ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. અમુક અમુક વખત તો તંત્ર દ્વારા ત્રણ પેસેન્જર હોવા છતાં પણ બસ ફેરવવી પડી રહી છે ! જો કે વેકેશનમાં લોકો આ બસનો વધુ લાભ લ્યે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ બસ દર શનિ-રવિ સવારે ૯ વાગ્યે ત્રિકોણબાગથી ઉપડે છે અને તે રામકૃષ્ણ આશ્રમ, બેબી ડોલ મ્યુઝિયમ, સ્વામિનારાયણ મંદિર, ઈશ્વરીયા પાર્ક, રિઝનલ સાયન્સ સેન્ટર, અટલ સરોવર, જ્યુબિલી વોટસન મ્યુઝિયમ, ગાંધી મ્યુઝિયમ, ડૉ.આંબેડકર મ્યુઝિયમ, આજી ડેમ, રામવન, પ્રદ્યુમન પાર્ક થઈને સાંજ પરત ત્રિકોણ બાગ સુધી લાવે છે.
જ્યારે સોમવારથી શુક્રવાર દરમિયાન સ્કૂલ, કોલેજ અથવા તો કોઈ જાણીતી સંસ્થાની માંગ હોય તો તેના માટે રાજકોટ દર્શન માટે બસ મુકવામાં આવી રહી છે. મહિનાવાઈઝ મુસાફરોની વાત કરવામાં આવે તો સૌથી વધુ ૬૫૪ મુસાફર માર્ચ મહિનામાં નોંધાયા હતા. જ્યારે સૌથી ઓછા ૬૨ મુસાફર ફેબ્રુઆરીમાં મળ્યા હતા. આ ઉપરાંત ૨૮૩ મુસાફર જાન્યુઆરી અને ૧૦૬ મુસાફર ૨૮ એપ્રિલ સુધી નોંધાયા હતા. આ પેટે મહાપાલિકાને ૪૪૩૯૫ રૂપિયાની આવક થઈ છે.
રાજકોટ દર્શન માટે ૧૨ વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે ૩૫ રૂપિયા અને ૧૨ વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ માટે ૫૦ રૂપિયા ટિકિટનો દર રાખવામાં આવ્યો છે.