મધ્યાહન ભોજન યોજના હેઠળ હવે બાળકોને નાસ્તો નહીં મળે
સોમવારે વેજ પુલા-ચણા, મંગળવારે દાળ ઢોકળી, શનિવારે વેજ ખીચડી : સરકારે 1 સપ્ટેમ્બરથી નવું મેનુ અમલમાં મૂક્યું
રાજકોટ : ગુજરાત સરકારે આગામી 1 સપ્ટેમ્બરથી મધ્યાહન ભોજન યોજના અન્વયે બાળકોને શાળા સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે આપવામાં આવતો નાસ્તો બંધ કરી નવું મેનુ અમલી બનાવ્યું છે જે અન્વયે સોમવારે વેજ પુલા-ચણા, મંગળવારે દાળ ઢોકળી, શનિવારે વેજ ખીચડી સહિતની વાનગીઓ એક જ વખત બપોરના સમયે પીરસવામાં આવશે.
કમિશનર પીએમ પોષણ યોજના દ્વારા આગામી તા.1 સપ્ટેમ્બરથી મધ્યાહન ભોજન યોજના હેઠળ સરકારી શાળાના બાળકોને આપવામાં આવતા ભોજન મેનુમાં ફેરફાર કર્યો છે જેથી હવે બાળકોને શાળા સમયગાળા દરમિયાન આપવામાં આવતા નાસ્તાનો છેદ ઉડી ગયો હોવાનું સામે આવ્યું છે, અગાઉ રાજકોટ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના અન્વયે લાભાર્થી બાળકોને બપોરના ભોજન બાદ 4 વાગ્યે નક્કી ક્રરેલા મેનુ મુજબ ચણાચાટ, વેજીટેબલ મુઠીયા, સુખડી અથવા તો મિક્સ કઠોળનો નાસ્તો પીરસવામાં આવતો હતો.
દરમિયાન પીએમ પોષણ યોજના કમિશનર દ્વારા 1 સપ્ટેમ્બરથી મધ્યાહન ભોજન યોજના માટે નવું મેનુ અમલમાં મુક્ત હવે સોમવારે વેજ પુલા-ચણા, મંગળવારે દાળ ઢોકળી, બુધવારે ખીચડી-શાક અથવા દાળ-ભાત – શાક, ગુરુવારે દાળ-ઢોકળી, લીલુશાક અને સુખડી યોજના અંતર્ગત સુખડી, શુક્રવારે વેજીટેબલ મુઠીયા અને આખા ચણાનું શાક અથવા તો થેપલા અને આખા ચણાનું શાક તેમજ શનિવારે વેજ ખીચડી અથવા ખારી ભાત શાકભાજી સાથે તેમજ કઠોળ દાળ સાથે અથવા તો કઠોળ દાળ સાથેનો વેજ પુલાવ બાળકોને પીરસવા આદેશ કર્યો છે.
બીજી તરફ ગુજરાત સરકારના નવા મેનુમાં વિસંગતા હોવાનું જણાવી મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળના પ્રમુખ કિશોરભાઈ જોશીએ રાજ્યના શિક્ષણમંત્રીને રજુઆત કરી મંગળવારના મેનુમાં દાળઢોકળી વાનગી ઠરાવ માં નક્કી કરેલ છે પરંતુ દાળ બનવવા માટે ટામેટા, મરચા, કોથમીર, સરગવાની શીંગ વગેરે શાકભાજી નો ઉપીયોગ કરી તો જ બાળકો સારી રીતે જમી શકેએ મુજબ દાળ ઢોકળીમાં અલગથી શાક બનવાની કોઈ જરૂરી ન હોવાનું જણાવી બુધવારે ખીચડી શાક અથવા દાળ ભાત શાક નક્કી કરેલ છે પરંતુ અનાજના વપરાશના પ્રમાણમાં ચોખાઅને ચણાની ફાળવણી કરેલ નથી દાળ ભાત બનાવવા કે ખીચડી બનાવવા માટે દાળની જરૂરિયાત પડે છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા દાળની જગ્યાએ ચણા ફાળવેલ છે સાથે જ શુક્રવારે વેજીટેબલ મુઠીયા અને ચણાનું શાક મેનુ નક્કી કરેલ છે જે વેજીટેબલ મુઠીયામાં જ કઠોળનો ઉપીયોગ કરવામાં આવેતો નાના કર્મચારીને કામનું ભારણ ઓછું થાય તેવી રજુઆત કરવામાં આવી છે.