અગ્નિકાંડ: ATP મકવાણા-આસિ.મેનેજર ચૌધરી પાંચ દિ’ના રિમાન્ડ પર
ડિમોલિશનની છેલ્લી નોટિસ મળી ગયા બાદ બાંધકામ કાયદેસર થઈ શકે તેમ ન હોવા છતાં ખોટું રજિસ્ટર બનાવ્યું: કોના કહેવાથી આવું કર્યું તેનો ખુલાસો ટૂંક સમયમાં થશે
બન્નેએ જમીન માલિક અશોકસિંહ જાડેજા પાસેથી નાણાં લીધા છે કે કેમ તે સહિતના મુદ્દા રિમાન્ડમાં બહાર આવશે
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડની આગ હજુ મહાપાલિકાના અનેક ભ્રષ્ટાચારીઓને દઝાડશે જ તેવા ભણકારા વાગી રહ્યા છે. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (એટીપી) રાજેશ મકવાણા અને વોર્ડના આસિસ્ટન્ટ મેનેજર જયદીપ ચૌધરીની ધરપકડ કર્યા બાદ સાત દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બન્નેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ગેઈમ ઝોનનું બાંધકામ તોડી પાડવા માટે ૨૬૦(૨) પ્રમાણે નોટિસ પાઠવી દેવામાં આવી હતી. નિયમ પ્રમાણે આ નોટિસ અપાયા બાદ કોઈ પણ બાંધકામ ઈમ્પેક્ટ ફીના નિયમ હેઠળ કાયદેસર થઈ શકતું નથી. આ વાત એમ.ડી.સાગઠિયા સહિતના તમામ જાણતા હોવાથી જૂના ઈનવર્ડ તેમજ જાવક રજિસ્ટરનો નાશ કરી નવું રજિસ્ટર બનાવ્યું હતું. આવું કોના કહેવાથી કર્યું છે તે મુદ્દો બહાર લાવવો જરૂરી બની જાય છે. આ ઉપરાંત અશોકસિંહ જગદીશસિંહ જાડેજાની ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલરાઈઝ કરવા માટેની ફાઈલ ઈન્વર્ડ કરવા તેમજ તેમાં પાછળથી તારીખમાં ઈનવર્ડ કરવા ઉપરાંત પત્ર વ્યવહારમાં જાવક કરવા માટે આર્થિક સહિતનો કોઈ લાભ લીધો છે કે નહીં તેની ખરાઈ કરવા સહિતના મુદ્દે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ-અલગ ૯ મુદ્દે બન્ને આરોપીના રિમાન્ડ મંગાયા હતા જેના આધારે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે આ કાંડમાં આગામી સમયમાં હજુ મોટા ખુલાસા થશે તે નિશ્ચિત છે.