કાલાવડ રોડ પર આશાપુરા પાન-યોગી પફ શોપ સીલ
દુકાન આસપાસ બેફામ ગંદકી હોય ટીમે ત્રાટકીને કરેલી કાર્યવાહી
રાજકોટમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે ત્યારે હજુ પણ અમુક તત્ત્વોને ગંદકી ફેલાવવામાં જ રસ હોય તેવી રીતે મન પડે ત્યાં કચરો ફેંકીને પરેશાની ઉભી કરી રહ્યા છે. ખાસ કરીને ચા-પાનની દુકાનો-હોટેલોને નોટિસ-દંડ ફટકારવા છતાં કોઈ જ સુધારો થતો ન હોય હવે મહાપાલિકા દ્વારા સીલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તાજેતરમાં જ ત્રિકોણબાગ પાસે આવેલી મચ્છોધણી હોટેલ તેમજ રામાપીર ચોકડી પાસે દેવજીવન હોટેલ સીલ કર્યા બાદ હવે મહાપાલિકાએ કાલાવડ રોડ પર એ.જી. ચોક પાસે આવેલા આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ તેમજ હરિ યોગી લાઈવ પફ શોપને સીલ કરી દેતાં ગંદકી ફેલાવતાં તત્ત્વોમાં દોડધામ મચી જવા પામી હતી. આ બન્ને દુકાનો દ્વારા માથું ફાડી નાખે તેવી ગંદકી કરવામાં આવી રહી હોય આ કાર્યવાહી કરવામાં આવી છે.
ગંદકી ફેલાવતાં દુકાનધારકો લેખિત બાહેંધરી નહીં આપે ત્યાં સુધી સીલ નહીં ખુલે
દરમિયાન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે `વૉઈસ ઑફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટી-એસોસિએશન દ્વારા તેમને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી કે તેમના દ્વારા હવે સફાઈના તમામ ધોરણો જાળવવામાં આવશે એટલા માટે સીલ કરેલી ચાની બન્ને હોટેલોના સીલ ખોલવામાં આવે. જો કે મ્યુનિસિપલ કમિશનરે રોકડું પરખાવી દીધું હતું કે જ્યાં સુધી દુકાનધારકો ગંદકી નહીં જ ફેલાવે તેવી લેખિત બહેંધરી નહીં આપે ત્યાં સુધી સીલ ખુલશે જ નહીં.
ગંદકી ફેલાવતાં વધુ ૩૭ ઝડપાયા, ૬ કિલો પ્લાસ્ટિક જપ્ત
મહાપાલિકાએ શહેરના ત્રણેય ઝોનમાં ચેકિંગ કરીને ગંદકી ફેલાવતાં ૩૭ લોકોને પકડીને દંડની વસૂલાત કરી હતી. આવી જ રીતે વિવિધ દુકાનોમાંથી ૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે વિવિધ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પરથી ૩ ટન અને અલગ-અલગ ૧૦૯ ન્યુસન્સ પોઈન્ટની સફાઈ કરીને ૨૫.૩ ટન કચરાનો નિકાલ કરાયો હતો.
સાવધાન ! હવે ગંદકી કરી તો સીધો આવશે મેમો
ગંદકી ફેલાવતાં તત્ત્વોને સાવધાન કરતી આ તસવીરમાં જોઈ શકાય છે કે કેવી રીતે મહાપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકતાં વ્યક્તિને તેના વાહનની નંબરપ્લેટના આધારે ઈ-મેમાો ફટકારવામાં આવ્યો છે. આ વાહન માલિકનું નામ ચાર્મીબેન નિલેશભાઈ ગોર છે અને તેમનું સરનામું જંક્શન પ્લોટનું હોવાનું મેમોમાં દેખાઈ રહ્યું છે. એકંદરે હવે કેમેરાના આધારે આ રીતે ગંદકી કરનારા દરેક લોકોને ઝપટે લેવામાં આવશે.