રેષકોર્ષ ગ્રાઉન્ડમાં પીએમની સભામાં 1 લાખ શ્રોતાઓ બેસી શકે તેવી વ્યવસ્થા
દરેક જિલ્લાને આઠથી દસ હજાર જેટલી માનવ મેદની માટે ટાર્ગેટ સોંપી ફૂડ પેકેટ સાથે જ બસ મોકલવા સૂચના
રાજકોટ : આગામી તા.25ના રોજ રાજકોટની એઈમ્સના લોકાર્પણ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના 14 હજાર કરોડના ખાતમહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો સાથે વડાપ્રધાન રેષકોર્ષ મેદાનમાં વિશાળ જાહેરસભાને સંબોધનાર હોય તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, સાથે જ રેષકોર્ષ મેદાનમાં 1 લાખ લોકો બેસી શકે તેવો સભામંડપ એટલે કે ડોમ પણ તૈયાર કરી લેવામા આવ્યો હોય રાજકોટને 50 હજાર અને અન્ય છ જિલ્લાને આઠથી દસ હજાર માનવમેદની એકત્રિત કરી ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ ચુકી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા.24 અને 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટનો કાર્યક્રમ વિશેષ મહત્વનો હોય કેન્દ્રના આરોગ્ય સચિવ, નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર અને રાજ્યના આરોગ્ય સચિવ સહિતના અધિકારીઓએ ગઈકાલે વડાપ્રધાનના કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લઈ રાજકોટના ઝોન પ્રભારી સાંસદ વિનોદ ચાવડા અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના હાજરીમાં મળેલી બેઠકમાં વડાપ્રધાનના કાર્યક્રમને ફાઇનલ કરી દેવાયો છે, રાજકોટ એઈમ્સના ઉદઘાટન બાદ વડાપ્રધાનના રોડ-શો અને જાહેર સભા સાથે અંદાજે 14 હજાર કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોય લોકસભા ચૂંટણીના શંખનાદ સમાન આ સભામાં એક લાખની જનમેદની બેસી શકે તેવી તમામ વ્યવસ્થા પૂર્ણ કરી લેવામાં આવી છે.
બીજી તરફ વડાપ્રધાનની રાજકોટ ખાતે આયોજિત જાહેરસભામાં એક લાખની જનમેદની એકત્રિત કરવા રાજકોટને 55 હજાર, મોરબીને 125 બસ ભરીને જનમેદનીની લક્ષ્યાંક અપાયો છે જયારે અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર,ગીરસોમનાથ સહિતના તમામ જિલ્લામાંથી બસમાં આવતા શ્રોતાઓ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા સ્થાનિકેથી જ કરીને મોકલવા પણ સૂચના આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.