વિંછીયા તાલુકા પંચાયતમાં પંજો કચડી કમળ ખીલ્યું
રાજ્યમંત્રી કુંવરજી બાવળિયાએ ખેલ પાડી દીધો : કોંગ્રેસના ઉપ પ્રમુખ પદના ઉમેદવાર જ ગેરહાજર રહ્યા
રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકામાં 18 પૈકી 14 સભ્યો સાથે કોંગ્રેસ બહુમતીથી સતા ઉપર બિરાજમાન થયા બાદ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના સભ્યો ચૂંટાઈ આવ્યા હતા, આશ્ચર્ય તો એ વાતનું છે કે, ઉપ પ્રમુખપદ માટે ફોર્મ ભરનાર કોંગ્રેસના ઉમેદવાર જ ચૂંટણી સમયે ગેરહાજર રહેતા વિછિયા તાલુકા પંચાયતમાં પંજો કચડી કમળ ખીલ્યું છે. સમગ્ર રાજકીય સોગઠાબાજી ગોઠવવામાં રાજ્યમંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ખેલ પાડી દીધાનું સામે આવ્યું છે.
રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકીય સોગઠા ગોઠવી વિંછીયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી છીનવી લઈ ભાજપનો ભગવો લહેરાવ્યો છે, વિંછીયા તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસથી દરખાસ્ત ગત તા.1 ઓગષ્ટ ના રોજ મંજૂર થઇ હતી. જેને પગલે ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજતા પ્રમુખ તરીકે અમરાપુર તાલુકા પંચાયત બેઠકના ભાજપના સભ્ય ગઢાદરા નીતાબેન દેવરાજભાઈ અને ઉપપ્રમુખ તરીકે વિંછીયા તાલુકા પંચાયત બેઠકના ભાજપ સભ્ય રોજાસરા ભુપતભાઈ લખમણભાઇ બીન હરીફ ચૂંટાઈ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિછિયા તાલુકા પંચાયતના સતા પરિવર્તનમાં ચોંકાવનારી વાત તો એ છે કે, કોંગ્રેસ તરફથી ડેલીવાળ ગીતાબેન ઘનશ્યામભાઈએ ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું જેવો ખુદ ગેર હાજર રહ્યા હતા. વિંછીયા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસમાંથી બળવો કરી 8 સભ્યોએ ભાજપ ને ટેકો આપતા ભાજપે વિંછીયા તાલુકા પંચાયત પર કબ્જો કર્યો હતો. વિંછીયા તાલુકા પંચાયતની ગત સામાન્ય ચુંટણીમાં 18 બેઠકમાંથી કોંગ્રેસની 14 બેઠક પર જીત થઈ હતી જયારે ભાજપ માત્ર 4 બેઠક જ મળતા વિંછીયા તાલુક પંચાયત કોંગ્રેસે કબ્જે કરી હતી પરંતુ કોંગ્રેસ સતા જાળવી શક્યું ન હતું અને ભાજપે આસાનીથી વિછિયા તાલુકા પંચાયતના સતાના સૂત્રો સાંભળ્યા છે.