ગણેશ જાડેજાના સમર્થનમાં આજે ૮૪ ગામો પાળશે સજ્જડ બંધ
ફરિયાદ કરનારા સોલંકી પરિવાર સામે એક-બે નહીં ૧૭ ગુના:
ફરિયાદીના પિતા રાજુ સોલંકી સામે હત્યાનો પ્રયાસ, મારામારી, લૂંટ, વ્યાજખોરી, હથિયાર, અપહરણ, પોલીસ પર હુમલો, જુગાર સહિતના અનેક ગુના નોંધાયેલા
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ (જ્યોતિરાદિત્યસિંહ) જાડેજા સામે જૂનાગઢમાં સંજય સોલંકીને માર મારવાની ફરિયાદ નોંધાવાઈ છે ત્યારે સીક્કાની બીજી બાજુ એવું પણ છે કે સંજય સોલંકી ઉપરાંત તેના પિતા રાજુ સોલંકી સહિતનાનો ઈતિહાસ પણ ગુનાઓથી ખરડાયેલો છે. એકંદરે સોલંકી પરિવાર સામે એક-બે નહીં બલ્કે ૧૭ જેટલી ગુના નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં એવી વિગતો પણ જાણવા મળી છે કે એકલા રાજુ બાવનજીભાઈ સોલંકી વિરુદ્ધ ૧૨ ગુના નોંધાયા છે. આ ઉપરાંત તેના પુત્ર દેવ રાજુ સોલંકી સામે બે, સંજય રાજુ સોલંકી સામે ૩ ગુના નોંધાયા છે. ૨૦૧૪થી આ પરિવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. રાજુ સોલંકી સામે હત્યાનો પ્રયાસ, મારામારી, લૂંટ, વ્યાજખોરી, ગેરકાયદેસર હથિયાર રાખવું, અપહરણ, પોલીસ પર હુમલો, જુગાર સહિતના અનેક ગુના નોંધાયેલા છે.
જ્યારે માર માર્યાની ફરિયાદ કરનાર સંજય સોલંકી સામે ૧૨-૩-૨૦૧૬ના એક વ્યક્તિએ માત્ર રસ્તામાંથી હટી જવાનું કહેતા સંજય, તેના પિતા રાજુ સહિતના દ્વારા તે વ્યક્તિ અને તેની પત્ની પર હુમલો કરવામાં આવ્યો હતો. આટલું ઓછું હોય તેમ ફરિયાદીના ઘેર જઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. એકંદરે આ પરિવાર નાની-નાની વાતમાં હિચકારા હુમલા કરવા સહિતની ટેવ ધરાવે છે.
બીજી બાજુ ગણેશ ગોંડલ સામે ફરિયાદ કરવામાં આવી હોય તે સદંતર ખોટી હોવાને કારણે તેમના સમર્થનમાં ૮૪ ગામો આજે સજ્જડ બંધ પાળશે. આ સાથે જ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ પણ આ આહ્વાનને સમર્થન આપ્યું છે.