રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ૧૦૩ લોકોને રેસ્ક્યુ કરાયા
જિલ્લામાં પૂરની સ્થિતિમાં ૨૭૭૯ લોકોને ૨૧ આશ્રયસ્થાનોમાં સલામત આશ્રય અપાયો
રાજકોટ : રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે નાગરિકોની સલામતી માટે સતત ત્રણ દિવસથી ખડેપગે છે. આકાશી આફતના સમયે રાહત-બચાવ ટીમોએ ૧૦૩ નાગરિકોને મુસીબતમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડવાની સાથે ગ્રામ્ય વિસ્તારમાં ૧૭૭૦ લોકોને ૧૪ આશ્રયસ્થાનો ખાતે તેમજ શહેરી વિસ્તારમાં ૧૦૦૯ લોકોને ૭ આશ્રયસ્થાનો ખાતે એમ કુલ ૨૭૭૯ લોકોને ૨૧ આશ્રયસ્થાનો ખાતે ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી તથા તાલુકા મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમ ખાતે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન આવેલા કોલમાંથી ૫૫ લોકો અને શહેરી વિસ્તારમાં ૪૮ લોકો મળીને કુલ ૧૦૩ લોકોને રેસ્ક્યુ કરાયા હતા.ગ્રામ્ય વિસ્તારમાં ગોંડલ તાલુકામાં વેકરી ગામે વાડીમાં વરસાદી પાણીમાં ફસાયેલા ૩ મજૂરોને બહાર નીકળવામાં આવ્યા હતા. શ્રીનાથગઢ વાડી વિસ્તારમાં ૧ સગર્ભા લક્ષ્મીબેનને ચાલુ વરસાદે પ્રસુતિ કરાવવામાં આવી હતી. ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં જર્જરીત મકાનની દીવાલ પડી જતા ઈજાગ્રસ્ત ૯ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
જામકંડોરણા તાલુકાના બોરીયા ગામમાં વાડીએ વરસાદી પાણીમાં ફસાયેલા ૪ મજૂરોને બચાવવામાં આવ્યા હતા. ઉપલેટા તાલુકામાં હાથફોડી રોડ પર મોજ નદીમાં ફસાયેલા ૪ લોકોને નગરપાલિકા ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. રાજકોટ તાલુકામાં નદીઓના પટમાં ફસાયેલા ૨૪ ખેતમજૂરોને તથા ગોંડલ તાલુકામાં કુલ ૯ લોકોને નગરપાલિકા અને વહીવટી તંત્રના સહયોગથી સલામતસ્થળે ખસેડવામાં આવ્યા હતા. તેમજ જસદણ તાલુકાના ભાડલા ગામે ૧ ખેડૂત રસ્તામાં વરસાદી પાણીમાં ફસાય જતા તેને બહાર નીકાળી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.
ઉપરાંત ભારે વરસાદમાં ગ્રામ્ય વિસ્તારમાં ૧૭૭૦ લોકોને ૧૪ આશ્રયસ્થાનો ખાતે તેમજ શહેરી વિસ્તારમાં ૧૦૦૯ લોકોને ૭ આશ્રયસ્થાનો ખાતે એમ કુલ ૨૭૭૯ લોકોને ૨૧ આશ્રયસ્થાનો ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ જિલ્લામાં અંદાજે ૨૫ સેવાભાવી સંસ્થાઓ દ્વારા લગભગ ૧ લાખ ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.